VIDEO: ક્યારેક પડકાર, ક્યારેક સફાઈ, હવે માઈલેજ અને ખામીની વાત... E20 પેટ્રોલ પર નિતિન ગડકરીના બદલાતા નિવેદનો!
દેશમાં E20 પેટ્રોલ (E20 Petrol) પર ચાલી રહેલી ચર્ચા હવે માત્ર ઈંધણના પ્રયોગ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ નેતાઓના બદલાતા બોલ પર આવીને અટકી ગઈ છે. દેશમાં કદાચ જ એવો કોઈ વિષય હશે જેના પર ખૂબ જ ટૂંકા સમયગાળામાં જનતાએ એક જ મંત્રી પાસેથી આટલા વિરોધાભાસી નિવેદનો સાંભળ્યા હોય. અત્યાર સુધી જે E20 ઈંધણના વખાણ કરવામાં આવતા હતા, હવે ખુદ સરકાર સંસદમાં તેની ખામીઓ અને મર્યાદાઓનો સ્વીકાર કરી રહી છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી (Union Minister for Road Transport and Highways) નિતિન ગડકરી (Nitin Gadkari) લાંબા સમયથી ઈથેનોલ મિશ્રિત ઈંધણ (Ethanol Blended Fuel) ના સૌથી મોટા પ્રચારક રહ્યા છે. પરંતુ બદલાતા સમય સાથે તેમના નિવેદનો પણ બદલાતા જોવા મળ્યા છે.
"ઈથેનોલ એ ભવિષ્યનું ઈંધણ છે" (Future Fuel)
ગયા વર્ષે ઓગસ્ટમાં પુણે ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં નિતિન ગડકરીએ E20નો જોરદાર પ્રચાર કરતા કહ્યું હતું કે, "ઈથેનોલ આપણા માટે એક શરૂઆત છે, અંત નથી. આ ભવિષ્યનું ફ્યુઅલ (Future Fuel) છે. અત્યારે પેટ્રોલમાં ઈથેનોલ ભળાવવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં ડીઝલમાં આઈસોબ્યુટેનોલ (Isobutanol) નું મિશ્રણ કરાશે."
"E20થી એક પણ ગાડી ખરાબ થઈ હોય તો નામ આપો"
જ્યારે સોશિયલ મીડિયા પર ઈથેનોલથી ગાડીઓના એન્જિન ખરાબ થવાની ફરિયાદો ઉઠી, ત્યારે ગડકરીએ વિરોધ કરનારાઓને ખુલ્લો પડકાર આપતા કહ્યું હતું કે જો E20 પેટ્રોલથી એક પણ ગાડી ખરાબ થઈ હોય તો તેનું નામ બતાવો. તેમણે દાવો કર્યો હતો કે આ માત્ર એક અફવા અને કેમ્પેઈન (Campaign) છે. સરકારે તોયોટા, મારુતિ સુઝુકી, બજાજ અને ટીવીએસ (Toyota, Maruti Suzuki, Bajaj, TVS) ના નિષ્ણાતોનો પેનલ બેસાડીને ઈથેનોલને વાહનો માટે સંપૂર્ણ સુરક્ષિત પણ ગણાવ્યું હતું.
"E20 સાથે મારે કઈ લેવાદેવા નથી"
ત્યારબાદ એક અદાલતી કાર્યવાહી દરમિયાન ગડકરીનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે સ્પષ્ટતા કરી કે E20 નીતિ સાથે તેમને કોઈ લેવાદેવા નથી. આ વિષય તેમના મંત્રાલય હેઠળ નથી આવતો, પરંતુ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય (Ministry of Petroleum and Natural Gas) હેઠળ આવે છે. કાયદાકીય રીતે આ વાત સાચી હોવા છતાં, E20ના મુખ્ય પ્રચારક પોતે હોવાથી સામાન્ય લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું.
"રબર પાર્ટ્સ બદલવા પડશે" અને "૬% માઈલેજ ઘટશે"
હાલમાં જ રાજ્યસભા (Rajya Sabha) માં બોલતા નિતિન ગડકરીએ સ્વીકાર્યું કે ૨૦૦૫ થી ૨૦૧૬ વચ્ચે બનેલા BS-III વાહનોમાં E20 વાપરવા માટે કેટલાક રબર પાર્ટ્સ અને ગાસ્કેટ (Gaskets) બદલવાની જરૂર પડી શકે છે.
તેના બીજા જ દિવસે સંસદમાં તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે E20 પેટ્રોલના ઉપયોગથી વાહનોની ફ્યુઅલ એફિશિયન્સી (Fuel Efficiency) એટલે કે માઈલેજમાં ૨% થી ૬% સુધીનો ઘટાડો થઈ શકે છે. ઈથેનોલની એનર્જી ડેન્સિટી (Energy Density) સામાન્ય પેટ્રોલ કરતાં ઓછી હોવાથી વાહન ઓછું અંતર કાપે છે.
સામાન્ય વાહન માલિકો માટે ચિંતાનો વિષય
સરકારના આ બદલાતા નિવેદનોથી સામાન્ય વાહન ચાલકોમાં ભારે મૂંઝવણ ઊભી થઈ છે. ખાસ કરીને જૂના વાહન માલિકો માટે હવે ચિંતા વધી છે કે શું તેમના એન્જિનને નુકસાન થશે? લોકો હવે એક એવી સત્તાવાર ગાઈડલાઈન (Official Guideline) ની રાહ જોઈ રહ્યા છે જે સ્પષ્ટ કરે કે આ બદલાતી ફ્યુઅલ પોલિસી (Fuel Policy) વચ્ચે તેમણે પોતાના વાહનોની સુરક્ષા માટે શું કરવું જોઈએ.

