એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મોટો કાંડ: 145 જિંદગીઓ દાવ પર લગાવી પાયલટે કર્યો હતો ગાંજાનો નશો! મેડિકલ ટેસ્ટમાં ફૂટ્યો ભાંડો

થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379 અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ઓડિશાના આકાશમાં ઉડાન દરમિયાન આ વિમાન અચાનક 300 ફીટ નીચે આવી ગયું હતું, જેના કારણે મુસાફરોને ભારે આંચકો લાગ્યો હતો. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘટના સમયે વિમાનના પાઇલટનો સાઇકોએક્ટિવ (નશીલા) પદાર્થનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલાની ટેકનિકલ અને અન્ય પાસાઓ પરથી ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.ભૌગોલિક નકશા તપાસો
પાયલટે ગાંજાનો નશો કર્યાનો ખુલાસો
ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયા બાદ નિયમ મુજબ વિમાનના ક્રૂ મેમ્બર્સનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હાથ ધરાયેલી બ્રેથ-એનાલાઇઝર તપાસમાં રિપોર્ટ નોર્મલ આવ્યો હતો, પરંતુ સાઇકોએક્ટિવ સબસ્ટન્સ ડિટેક્શન કિટ દ્વારા કરવામાં આવેલા ટેસ્ટમાં ગડબડ સામે આવી હતી. મીડિયા અહેવાલો મુજબ, આ ટેસ્ટથી સ્પષ્ટ થયું હતું કે પાયલટે ગાંજાનો નશો કર્યો હતો. ત્યારબાદ લેવાયેલા બ્લડ સેમ્પલના રિપોર્ટમાં પણ આ વાતની પુષ્ટિ થઈ હતી અને ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
વિમાનમાં 145 લોકો સવાર હતા: 20 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સ ઘાયલ
જ્યારે આ અચાનક આંચકાની ઘટના બની ત્યારે વિમાનમાં કુલ 145 લોકો સવાર હતા, જેમાં 3 બાળકો સહિત 137 મુસાફરો, 6 કેબિન ક્રૂ અને 2 ફ્લાઇટ ક્રૂ સભ્યોનો સમાવેશ થતો હતો. ફ્લાઇટ અચાનક નીચે ફેંકાતાં ઓછામાં ઓછા 20 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. શરૂઆતમાં એવું જણાવવામાં આવ્યું હતું કે વિમાન ખરાબ હવામાન કે ટર્બ્યુલન્સ (વિક્ષેપ)માં ફસાયું હતું, પરંતુ હવે તપાસ રિપોર્ટમાં પાઇલટના નશામાં હોવાની બાબત સામે આવી છે.

