'કૂતરાઓને પકડવા પર રોક લગાવો', સુપ્રીમ કોર્ટે 'વચગાળાના સ્ટે' પર નિર્ણય અનામત રાખ્યો

દિલ્હી-એનસીઆરમાંથી બધા રખડતા કૂતરાઓને દૂર કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સતત દલીલો થઈ રહી છે. તમામ પક્ષોને સાંભળ્યા પછી ન્યાયાધીશ વિક્રમનાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે 'વચગાળાના સ્ટે' માટે દાખલ કરાયેલી અરજીઓ પર નિર્ણય અનામત રાખ્યો છે. બેન્ચે નક્કી કરવાનું છે કે દિલ્હી-એનસીઆરમાંથી બધા કૂતરાઓને દૂર કરવાનો બે ન્યાયાધીશોની બેન્ચનો નિર્ણય યથાવત રહેશે કે નહીં.
ન્યાયાધીશ વિક્રમનાથે સુનાવણી દરમિયાન કહ્યું કે, સંસદમાં કાયદા અને નિયમો બને છે, પરંતુ તેનું પાલન થતું નથી. એક તરફ માણસો પીડાઈ રહ્યા છે અને બીજી તરફ પ્રાણી પ્રેમીઓ છે. ન્યાયાધીશ નાથે તમામ પક્ષોને સોગંદનામા અને પુરાવા રજૂ કરવા કહ્યું. ન્યાયાધીશ નાથે કહ્યું કે વચગાળાના સ્ટે માટેની વિનંતી પરનો નિર્ણય હાલ પૂરતો અનામત છે.
સરકારનો પક્ષ રજૂ કરતાં સોલિસિટર જનરલ દુષ્યંત દવેએ કહ્યું કે કેટલાક લોકો ચિકન, ઈંડા વગેરે ખાતા હોય છે અને પાછા પ્રાણીપ્રેમી હોવાનો દાવો કરે છે. આ એક એવો મુદ્દો છે જેનો ઉકેલ લાવવો જોઈએ. બાળકો મરી રહ્યા છે. WHO ના ડેટા દર્શાવે છે કે દર વર્ષે 305 લોકો મૃત્યુ પામે છે, જેમાંથી મોટાભાગના 15 વર્ષથી ઓછી ઉંમરના હોય છે. કોઈ પણ પ્રાણી પ્રત્યે દ્વેષ નથી. સેંકડો પ્રાણીઓમાંથી ફક્ત ચાર જ ઝેરી હોય છે. આપણે તેમને ઘરમાં રાખતા નથી. કૂતરાઓને મારવામાં નહીં આવે પરંતુ તેમને માનવવસ્તીથી અલગ કરવામાં આવશે.
દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાંના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્રણ સભ્યોની બેન્ચે દિલ્હી સરકારને 8 અઠવાડિયામાં રસ્તાઓ પરથી રખડતા કૂતરાં હટાવવાનો આદેશ આપ્યો હતો.
'અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ...': સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે હવે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે, આ મુદ્દાનું સમાધાન થવું જોઈએ, તેના પર વિવાદ ન થવો જોઈએ. આના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પ્રાણીઓ પ્રત્યે નફરત કરતું નથી અને અમે પણ આ મામલાનો ઉકેલ લાવવા માગીએ છીએ.
માત્ર કાયદા કે નિયમોથી આ સમસ્યા હલ નહીં થાય આથી દરમિયાનગીરી જરૂરી
દિલ્હી સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું કે, 'કૂતરાના હુમલાથી બાળકો મરી રહ્યા છે. નસબંધી કરવા છતાં કૂતરા કરડવાની ઘટનાઓ અટકતી નથી. દેશમાં આવા અનેક ચોંકાવનારા કિસ્સાઓ છે. આ અંગે અમારે એટલું જ કહેવું છે કે કોઈ પ્રાણીઓથી નફરત કરતું નથી, પરંતુ સુરક્ષા જરૂરી છે. કોઈ કૂતરાઓને મારી નાખવાનું નથી કહી રહ્યું. અમે ફક્ત તેમને માનવ વસ્તીથી અલગ રાખવાનું કહી રહ્યા છીએ.'
તેમણે કોર્ટને જણાવ્યું કે લોકો પોતાના બાળકોને બહાર મોકલતા ડરી રહ્યા છે અને માત્ર કાયદા કે નિયમોથી આ સમસ્યા હલ નહીં થાય. આ માટે કોર્ટે દરમિયાનગીરી કરવી પડશે.
કૂતરાઓના અધિકાર માટે લડતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું, 'મેં પહેલી વાર એસજીને એમ કહેતા સાંભળ્યા કે કાયદો છે, પરંતુ તેનું પાલન કરવાની જરૂર નથી. તેમણે પૂછ્યું કે શું કૂતરાઓનું નસબંધી કરવામાં આવી છે. શું પૈસા આપવામાં આવ્યા છે? કોઈ શેલ્ટર નથી. આવો આદેશ સુઓમોટો થકી આપવામાં આવ્યો હતો. કોઈ નોટિસ નથી. તેઓ કૂતરાઓને ઉપાડી રહ્યા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેમને છોડવામાં નહીં આવે. આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. આ મુદ્દે ચર્ચા થવી જોઈએ. મારી વિનંતી છે કે તેના પર સ્ટે મૂકવામાં આવે. કપિલ સિબ્બલે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ગઈકાલે સાંજે અપલોડ કરવામાં આવ્યો હતો. પરંતુ 700 કૂતરાઓને ઉપાડી લેવામાં આવ્યા છે. ભગવાન જાણે તેમનું શું થશે. તેમને મારી નાખવામાં આવશે.?
સુપ્રીમ કોર્ટમાં ફરીથી સુનાવણી કેમ?
મોટી સંખ્યામાં પ્રાણી પ્રેમીઓ અને સમાજના ઘણા વર્ગના લોકો 11 ઓગસ્ટના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નિરાશ થયા હતા અને સુપ્રીમ કોર્ટ પાસેથી પુનર્વિચારની માંગણી શરૂ કરી હતી. બુધવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચ સમક્ષ, એક વકીલે 'કોન્ફરન્સ ફોર હ્યુમન રાઇટ્સ' ની અરજીનો ઉલ્લેખ કરી તેના પર તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. આ પછી ચીફ જસ્ટિસ ગવઈએ તેના પર વિચાર કરવાનું વચન આપ્યું હતું. લંચ બ્રેક પછી કેટલાક વકીલોએ ફરીથી ચીફ જસ્ટિસ સમક્ષ કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોર્ટના આદેશની નકલ હજુ સુધી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી નથી, પરંતુ અધિકારીઓએ કૂતરાને ઉપાડવાનું શરૂ કરી દીધું છે. ચીફ જસ્ટિસે કહ્યું, અમે આ મુદ્દે વિચાર કરી રહ્યા છીએ.

