રખડતા કૂતરાઓને દૂર કરવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય રદ થશે? જાણો CJI ગવઈએ શું કહ્યું

દિલ્હી-NCRમાં રસ્તાઓ પરથી રખડતા કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય પર હોબાળો મચ્યો છે. રખડતા કૂતરાઓને શેલ્ટર હોમમાં મોકલવાના સુપ્રીમ કોર્ટના આદેશ પર ચાલી રહેલી બબાલ વચ્ચે આ મુદ્દો સીજેઆઈ સુધી પહોંચ્યો. એક વકીલે કોર્ટના આદેશ અંગે અરજી દાખલ કરી છે, જેના પર ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈએ કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરશે.
જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયની ખૂબ ચર્ચા થઈ રહી છે. જેમાં કૂતરા પ્રેમીઓનો કોર્ટના આ નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કૂતરા પ્રેમીઓનું કહેવું છે કે, આ નિર્ણય સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે નહીં. બીજી તરફ સમાજનો કેટલોક વર્ગ આ નિર્ણયનું સ્વાગત કરી રહ્યો છે.
કૂતરા પ્રેમીઓને રાહત મળશે?
એક રિપોર્ટ મુજબ, કોર્ટમાં એક વકીલે CJI બીઆર ગવઈ સમક્ષ આ મુદ્દો ઉઠાવતા સુપ્રીમ કોર્ટના એક જૂના આદેશનો ઉલ્લેખ કર્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે બધા જીવો પ્રત્યે દયા હોવી જોઈએ. કોર્ટના જૂના આદેશનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, આ સામૂહિક કૂતરાઓનો કેસ છે. સુપ્રીમ કોર્ટનો જ એક જૂનો આદેશ છે, જેમાં કહેવાયું હતું કે, કોઈપણ સંજોગોમાં કૂતરાઓને આડેધડ રીતે મારી શકાય નહીં. બધા જીવો પ્રત્યે દયા હોવી જોઈએ. ચુકાદો આપનાર બેન્ચમાં જસ્ટિસ કરોલનો પણ સમાવેશ હતો.
વકીલની દલીલો સાંભળ્યા પછી CJI એ કહ્યું કે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટની બેન્ચ પહેલાથી જ પોતાનો ચુકાદો આપી ચૂકી છે. હું તેના પર વિચાર કરીશ.
જણાવી દઈએ કે દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓના વધતા હુમલા અને હડકવાથી થતા મૃત્યુને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRના તમામ રખડતા કૂતરાઓને 8 અઠવાડિયાની અંદર શેલ્ટર હોમમાં પહોંચાડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે, કે દિલ્હી-એનસીઆરમાં બધા રખડતા કૂતરાઓને રહેણાંક વિસ્તારોમાંથી ઉપાડીને આશ્રય ગૃહોમાં રાખો. સાથે જ કોર્ટે ચેતવણી પણ આપી છે કે આ કાર્યમાં અવરોધ ઉભો કરનારા કોઈપણ સંગઠન કે વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

