'એઠવાડ ક્યાંય ખુલ્લામાં ના ફેંકો', કૂતરાઓને લઈને સુપ્રીમ કોર્ટ પરિસર માટે નવો સર્ક્યુલર જાહેર

સુપ્રીમ કોર્ટે ગઈકાલે દિલ્હી-એનસીઆરમાં રખડતાં કૂતરાઓ પર વિવાદિત આદેશ આપ્યા બાદ આજે વધુ એક નવુ સર્ક્યુલર જાહેર કર્યું છે. સુપ્રીમ કોર્ટના પ્રાંગણમાં રખડતાં કૂતરાઓની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લેતાં આ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે.
સર્ક્યુલરમાં નિર્દેશનો તાત્કાલિક અમલ કરવાના આદેશ સાથે જણાવવામાં આવ્યું છે કે, 'સુપ્રીમ કોર્ટના પરિસર, કોરિડોર અને લિફ્ટમાં રખડતાં શેરી કૂતરાઓની સંખ્યા વધી રહી હોવાની નોંધ લેવામાં આવી છે.
એઠવાડનો નિકાલ કરવાની ગાઈડલાઈન
તમામ લોકો વધેલા ભોજનનો નિકાલ ફક્ત યોગ્ય રીતે ઢંકાયેલી કચરાપેટીમાં જ કરવો જોઈએ. કોઈપણ સંજોગોમાં ખોરાક ખુલ્લા વિસ્તારોમાં અથવા ખુલ્લા કન્ટેનરમાં ફેંકવો જોઈએ નહીં. આ પગલું પશુઓને વિસ્તાર તરફ આકર્ષિત કરતાં અટકાવવા માટે જરૂરી છે. જેનાથી કુતરું કરડવાના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સ્વચ્છતાના ધોરણો જાળવવામાં આવે. આ નિર્દેશને લાગુ કરવામાં તમારો સહયોગ તમામની સલામતી માટે જરૂરી છે'
અધિકારીઓ સાથે કરી બેઠક
આ સમસ્યાને ઉકેલવા સુપ્રીમ કોર્ટે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કૂતરા કરડવાની ઘટનાઓને ધ્યાનમાં લઇ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર, એમસીડી, એનડીએમસીને કૂતરાઓ માટે શેલ્ટર હાઉસ બનાવવાના નિર્દેશ આપ્યા છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે જણાવ્યું છે કે કોઇ પણ કીંમતે નવજાત અને નાના બાળકો રખડતા કૂતરાના શિકાર બનવા જોઈએ નહીં.
સુઓ મોટો પર આપ્યો આદેશ
તાજેતરમાં દિલ્હીમાં રોહિણીની પાસે રખડતા કૂતરાના કરડવાથી 6 વર્ષની બાળકીનું મોત થયું હતું. આ ઘટના પછી સુપ્રીમ કોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગે પ્રકાશિત એક મીડિયા રિપોર્ટનો ઉલ્લેખ કરતા આ સમસ્યાને ખૂબ જ હેરાન કરનાર અને ચિંતાજનક ગણાવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં દરરોજ કૂતરા કરડવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેથી દિલ્હી-એનસીઆરના તમામ રખડતાં કૂતરાને શેલ્ટર હાઉસમાં લઈ જવા આદેશ આપ્યો હતો.

