VIDEO: પાકિસ્તાને મસૂદ અઝહર પર ઈનામ જાહેર કરતાં જ ભારતે ઉતારી દીધો નકાબ! વિદેશ મંત્રાલયે પુરાવા સાથે આપ્યો જડબાતોડ જવાબ
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મંગળવારે પત્રકારો સાથેની વાતચીતમાં બાંગ્લાદેશના વડાપ્રધાનને અપાયેલા નિમંત્રણ, પાકિસ્તાન દ્વારા આતંકી પર ઈનામની જાહેરાત, ભારત અને ચીનના વડાઓ વચ્ચેની મુલાકાત તેમજ ઓમાનના દરિયાકાંઠે જહાજ પર થયેલા હુમલા સહિતના અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી હતી.
BRICS માટે બાંગ્લાદેશના PMને આમંત્રણ ન આપ્યું હોવાનો દાવો ખોટો
બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનને આમંત્રણ મોકલવા અંગે પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે ભારતે તેમને દ્વિપક્ષીય મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત BIMSTECના અધ્યક્ષ તરીકે બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પણ બીજું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. આમ તેમને ભારત તરફથી કુલ 2 અલગ-અલગ આમંત્રણ મળ્યા હતા, તેથી આમંત્રણ ન મળ્યાનો દાવો ખોટો છે.
મસૂદ અઝહર પર ઈનામની જાહેરાત સામે પાકિસ્તાનને ઘેર્યું
જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર પાકિસ્તાન સરકારે 70 લાખ પાકિસ્તાની રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આ પગલા પર વિદેશ મંત્રાલયે આકરો પ્રહાર કરતા કહ્યું કે દુનિયા અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે પાકિસ્તાન અગાઉ પણ આવા નાટક કરતું રહ્યું છે. આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશ તરફથી આવી જાહેરાતો તદ્દન પોકળ છે. પાકિસ્તાન સારી રીતે જાણે છે કે મસૂદ અઝહર ક્યાં છુપાયેલો છે, તેથી તેણે માત્ર જાહેરાતો કરવાને બદલે તેને પકડીને નક્કર કાર્યવાહી કરવી જોઈએ.
ભારત અને ચીનના વડાઓ વચ્ચેની બેઠક પર વલણ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે 18મા બ્રિક્સ સંમેલન દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશોના હિતો અને સંબંધો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી અને ભારતે પોતાની ચિંતાઓ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરી હતી. બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવા માટે પરસ્પર સન્માન, પરસ્પર હિત અને પરસ્પર સંવેદનશીલતા એ ત્રણ સિદ્ધાંતોનું પાલન થવું અત્યંત જરૂરી છે.
ઓમાન તટ નજીક જહાજ પર હુમલો અને 13 ભારતીયો સુરક્ષિત
ઓમાનના દરિયાકાંઠે પનામાનો ધ્વજ ધરાવતા એક કોમર્શિયલ જહાજ પર હુમલો થયો હતો, જેમાં કુલ 14 ભારતીય નાગરિકો અને નાવિકો સવાર હતા. તેમાંથી 13 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે, જ્યારે 1 ભારતીય નાવિક હજુ લાપતા છે. ઓમાનના સત્તાવાળાઓ સાથે મળીને તેને શોધવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે વ્યાપારી જહાજો, સામાન્ય નાગરિકો અને નાગરિક માળખા પરના હુમલા બિલકુલ અસ્વીકાર્ય છે અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર મુક્ત અને સુરક્ષિત અવરજવર જળવાઈ રહેવી જોઈએ.
રશિયા સાથે ઊર્જા સહયોગ અને તેલ ખરીદી અંગે સ્પષ્ટતા
ભારત અને રશિયા વચ્ચે ઊર્જા ક્ષેત્રે સહકાર ખૂબ મજબૂત રહ્યો છે, જેમાં કુડનકુલમ અણુ ઊર્જા પ્રોજેક્ટ બંને દેશોના સફળ સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે. ભારત આ ભાગીદારીને વધુ વિસ્તારવા માટે ટેકનિકલ સ્તરે ચર્ચા કરી રહ્યું છે. અમેરિકા દ્વારા રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદતા 10 દેશો પર 100 ટકા ટેરિફ લાદવાના અહેવાલો અને નવા પ્રતિબંધો અંગે પૂછાયેલા પ્રશ્ન પર ભારતે જણાવ્યું કે પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે તેલ ખરીદવાનો નિર્ણય સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવે છે.
સાઉદી અરબ સાથે મુલાકાત, હૂથી હુમલા અને ઝાકિર નાઈકનો મુદ્દો
વિદેશ મંત્રી એસ. જયશંકરે (S.Jaishankar) સાઉદી અરબના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરીને પ્રાદેશિક સુરક્ષા અને લાલ સમુદ્રમાં વધી રહેલા તણાવ પર ચર્ચા કરી હતી. ભારતે સાઉદી અરબની સરહદો અને નાગરિક માળખા પર હૂતી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાઓની આકરી નિંદા કરી છે. આ સાથે જ ભારતે જણાવ્યું કે વિવાદાસ્પદ ધર્મપ્રચારક ઝાકિર નાઈક (Zakir Naik) નો મુદ્દો પણ મલેશિયા સરકાર સમક્ષ દરેક સ્તરે સતત ઉઠાવવામાં આવી રહ્યો છે.

