બાંગ્લાદેશના સેમિનારમાં કાશ્મીરનો ખોટો નકશો બતાવતા જ ભારતીય ડિપ્લોમેટ લાલઘુમ; સ્ટેજ પર જ સંભળાવી દીધું

બાંગ્લાદેશની રાજધાની ઢાકા (Dhaka) માં આયોજિત એક સેમિનારમાં ભારતની પ્રાદેશિક અખંડિતતા સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક ઇન્ટરનેશનલ સેમિનાર (International Seminar) દરમિયાન પ્રેઝન્ટેશનમાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ દર્શાવવામાં આવ્યો હતો. જોકે, ત્યાં હાજર ભારતીય ડિપ્લોમેટ (Indian Diplomat) પૂજા કુમારી ઝાએ આ હરકત સામે તાત્કાલિક અને અત્યંત કડક વિરોધ નોંધાવ્યો હતો, જેને પગલે બાંગ્લાદેશના પૂર્વ રાજદૂતે સ્ટેજ પરથી માફી જેવી સ્પષ્ટતા કરવી પડી હતી.
શું છે સમગ્ર વિવાદ?
ઢાકામાં ‘બાંગ્લાદેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ’ (BIISS) દ્વારા વિદેશી બાબતો પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ (Event) માં મુખ્ય વક્તા તરીકે બાંગ્લાદેશના પૂર્વ રાજદૂત તારિક એ. કરીમ પોતાનું પ્રેઝન્ટેશન (Presentation) આપી રહ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રેઝન્ટેશન દરમિયાન સ્ક્રીન પર એક નકશો (Map) દર્શાવવામાં આવ્યો હતો, જેમાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનના હિસ્સા તરીકે બતાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય હાઈકમિશનના સેકન્ડ સેક્રેટરી (પોલિટિકલ એન્ડ ઇન્ફોર્મેશન) પૂજા કુમારી ઝા પણ હાજર હતા. નકશા પર નજર પડતાં જ તેમણે કોઈ પણ જાતનો સમય ગુમાવ્યા વિના સ્ટેજ સામે જ વાંધો ઉઠાવ્યો હતો.
'કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે'
વિવાદિત નકશો સ્ક્રીન પર આવતાની સાથે જ ભારતીય રાજદ્વારી પૂજા કુમારી ઝાએ ખચકાયા વિના કડક શબ્દોમાં વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે ભરેલા સેમિનારમાં સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે, "અહીં દર્શાવવામાં આવેલો ભારતનો નકશો તદ્દન ખોટો છે. જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અને અતૂટ ભાગ છે. મને લાગે છે કે અહીં જે મેપ રજૂ કરવામાં આવ્યો છે તે સાચો નથી."
બાંગ્લાદેશના પૂર્વ રાજદૂતે આપવી પડી સફાઈ
ભારતીય અધિકારીના આ આક્રમક કૂટનીતિક વલણ (Diplomatic Stance) ને કારણે સેમિનારમાં સોપો પડી ગયો હતો. પોતાની ભૂલ પકડાતા પ્રેઝન્ટેશન આપી રહેલા પૂર્વ બાંગ્લાદેશી રાજદૂત તારિક એ. કરીમને સ્ટેજ પરથી જ ડિફેન્સિવ મોડમાં આવીને સફાઈ આપવી પડી હતી. તેમણે બચાવ કરતા કહ્યું કે, આ નકશાનો ઉપયોગ માત્ર ‘સાંકેતિક હેતુ’ (Indicative Purposes) માટે કરવામાં આવ્યો હતો અને તેનો હેતુ કોઈ 'વાસ્તવિક સરહદો' (Actual Borders) દર્શાવવાનો નહોતો.
આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની 'ઝીરો-ટોલરન્સ' પોલિસી
જમ્મુ-કાશ્મીરને લઈને વૈશ્વિક મંચો પર ખોટા નકશા બતાવવાના પ્રયાસો સામે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય (MEA) ની પોલિસી (Policy) હંમેશાં કડક અને સ્પષ્ટ રહી છે. ભારતનું સત્તાવાર સ્ટેન્ડ છે કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અવિભાજ્ય ભાગ છે, જેમાં પાકિસ્તાન (PoK) અને ચીન (Aksai Chin) ના ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારો પણ સામેલ છે.
વિદેશ મંત્રાલય તરફથી તમામ ભારતીય ઓફિશિયલ્સ (Officials) ને સ્પષ્ટ પ્રોટોકોલ આપવામાં આવ્યો છે કે દુનિયાના કોઈપણ ખૂણે જો ભારતના નકશા સાથે આવી ગેરરીતિ થાય, તો ત્યાં જ વિરોધ રેકોર્ડ કરાવવો. ઢાકામાં ભારતીય રાજદ્વારીની ત્વરિત પ્રતિક્રિયા પણ ભારતની આ 'ઝીરો-ટોલરન્સ પોલિસી' (Zero-Tolerance Policy) નો જ એક ભાગ છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

