બાંગ્લાદેશના નવા PMને દિલ્હી આવવા વડાપ્રધાન મોદીનું આમંત્રણ, ઓમ બિરલાએ પાઠવ્યો અભિનંદન પત્ર

બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં ભારત તરફથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ હાજરી આપી હતી. મંગળવારે યોજાયેલી આ મુલાકાત દરમિયાન ઓમ બિરલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વ્યક્તિગત અભિનંદન પત્ર તારિક રહેમાનને સોંપ્યો હતો. આ પત્રમાં પીએમ મોદીએ રહેમાનને વહેલી તકે ભારત આવવાનું ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
મોહમ્મદ યુનુસના શાસનનો અંત
તારિક રહેમાનના શપથ ગ્રહણ સાથે જ બાંગ્લાદેશમાં છેલ્લા 18 મહિનાથી કાર્યરત મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારના શાસનનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, યુનુસના કાર્યકાળ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો બગડ્યા હતા. હવે તારિક રહેમાનના 5 વર્ષના કાર્યકાળની શરૂઆત સાથે બંને દેશો વચ્ચે ફરી મજબૂત ભાગીદારીની આશા જાગી છે.
25 મંત્રીઓ, 24 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા
શપથ સમારોહમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, માલદીવ અને ભૂતાનના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓમ બિરલાએ માલદીવના રાષ્ટ્રપતિ અને ભૂતાનના વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરી હતી. શપથ વિધિ બાદ તારિક રહેમાને સત્તાવાર દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા અને રાષ્ટ્રપતિ શહાબુદ્દીને 25 મંત્રીઓ તથા 24 રાજ્ય મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.

