Amrut Bharat Express New Rules: એક સીટ પર બે મુસાફરો નહીં બેસે! રેલવેએ ટિકિટ બુકિંગમાં કર્યા ક્રાંતિકારી ફેરફાર

Amrut Bharat Express New Rules: ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને 'અમૃત ભારત' ટ્રેનોના ભાડા અને ટિકિટ બુકિંગને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ હવે અમૃત ભારત ટ્રેનમાં RAC (Reservation Against Cancellation) ની વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી છે અને લઘુત્તમ ભાડાના અંતરમાં પણ ફેરફાર થયો છે.
હવે RACની ઝંઝટ ખતમ
રેલવેના નવા નોટિફિકેશન મુજબ, અમૃત ભારત ટ્રેનોમાં હવે RAC ટિકિટ આપવામાં આવશે નહીં. એટલે કે, કાં તો મુસાફરની ટિકિટ કન્ફર્મ (Confirm) હશે અથવા તે વેઈટિંગ (Waiting) લિસ્ટમાં રહેશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે અમૃત ભારત ટ્રેનોમાં મુસાફરોને વધુ સારી સુવિધા અને સ્પેસ મળી રહે. RAC ન હોવાને કારણે એક સીટ પર બે મુસાફરોએ બેસીને મુસાફરી કરવી પડશે નહીં.
સ્લીપર ક્લાસનું લઘુત્તમ ભાડું
નવા નિયમ મુજબ, અમૃત ભારત ટ્રેનના સ્લીપર ક્લાસમાં મુસાફરી કરવા માટે લઘુત્તમ ભાડું 200 કિલોમીટરના અંતર માટે વસૂલવામાં આવશે. જો કોઈ મુસાફર 50 કે 100 કિલોમીટરની મુસાફરી કરે છે, તો પણ તેણે ઓછામાં ઓછું 200 કિલોમીટરનું ભાડું ચૂકવવું પડશે.
અન્ય મહત્વના ફેરફારો
રિઝર્વેશન ચાર્જ અને સુપરફાસ્ટ સરચાર્જ: આ ટ્રેનોમાં રિઝર્વેશન ફી અને સુપરફાસ્ટ સરચાર્જ જે તે ક્લાસ મુજબ લાગુ રહેશે.
ભાડામાં છૂટછાટ: અમૃત ભારત ટ્રેનોમાં સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની ભાડાની છૂટછાટ (Concessions) મળતી નથી, સિવાય કે રેલવે દ્વારા કોઈ ખાસ કેટેગરી માટે જાહેરાત કરવામાં આવી હોય.
કેટરિંગ સુવિધા: આ ટ્રેનોમાં કેટરિંગ ચાર્જ ટિકિટના ભાડામાં સામેલ હોતો નથી. મુસાફરોએ ખાવા-પીવાની સુવિધા માટે અલગથી ચૂકવણી કરવાની રહેશે.
અમૃત ભારત ટ્રેન શું છે?
અમૃત ભારત એ 'પુશ-પુલ' ટેક્નોલોજી પર આધારિત હાઈ-સ્પીડ ટ્રેન છે, જેમાં બંને છેડે એન્જિન હોય છે. તે સામાન્ય ટ્રેનો કરતા વધુ ઝડપી અને આરામદાયક છે. તેમાં સીસીટીવી કેમેરા, આધુનિક શૌચાલય અને સેન્સરવાળા નળ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

