VIDEO: યાત્રાધામ અંબાજીમાં ભક્તની અતૂટ શ્રદ્ધા: 500 ગ્રામ સોનાની લગડીઓનું દાન, ગોલ્ડન શિખરની ચમકમાં થશે વધારો
VIDEO: ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી મંદિરમાં ફરી એકવાર સોનાનું મોટું દાન આવ્યું છે. અમદાવાદના એક પરમ માઈભક્તે માતાજી પ્રત્યેની પોતાની શ્રદ્ધા પ્રગટ કરતા 500 ગ્રામ સોનું અર્પણ કર્યું છે, જેની બજાર કિંમત આશરે 72 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
500 ગ્રામ સોનાની 5 લગડીઓનું દાન
મળતી માહિતી મુજબ, અમદાવાદના આ ભક્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને 100-100 ગ્રામની એવી કુલ 5 સોનાની લગડીઓ દાનમાં આપી છે. આ દાન સ્વીકારતી વખતે મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને પૂજારીઓ હાજર રહ્યા હતા. ભક્તે પોતાની ઓળખ ગુપ્ત રાખીને નિઃસ્વાર્થ ભાવે આ સેવા કરી છે.
સુવર્ણ શિખરની કામગીરીમાં વેગ આવશે
અંબાજી મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી વર્ષોથી ચાલી રહી છે. અત્યાર સુધીમાં સેંકડો કિલો સોનું ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવ્યું છે. આજના આ 500 ગ્રામ સોનાના દાનથી માતાજીના સુવર્ણ શિખરની શોભામાં ઓર વધારો થશે. ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરમાં અવારનવાર દેશ-વિદેશના ભક્તો આવી રીતે કિંમતી ધાતુઓ અને રોકડનું દાન કરતા હોય છે.

