અરવિંદ કેજરીવાલનો 3 દિવસીય ગુજરાત પ્રવાસ: અમદાવાદ અને વડોદરામાં યોજાશે ભવ્ય કાર્યકર્તા સંમેલનો, મિશન ગુજરાત તેજ

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 17 જાન્યુઆરી શનિવારે સાંજે તેમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે, જ્યાં પાર્ટીના ટોચના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
ઝોનવાઈઝ કાર્યકર્તા બૂથ સંમેલન
આ પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલ ગુજરાતના 7 ઝોન હેઠળ સંગઠનને મજબૂત કરવા માટે ઝોનવાઈઝ કાર્યકર્તા સંમેલનોમાં હાજરી આપશે. તેઓ 18 જાન્યુઆરીએ અમદાવાદમાં 'મધ્ય ઝોન' કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરશે. ત્યારબાદ 19 જાન્યુઆરીએ તેઓ વડોદરામાં 'પૂર્વ ઝોન' કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે.
દિગ્ગજ નેતાઓની હાજરી અને માર્ગદર્શન
આ સંમેલનોમાં અરવિંદ કેજરીવાલની સાથે AAPના રાષ્ટ્રીય નેતાઓ ગોપાલ રાય અને દુર્ગેશ પાઠક પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાતના પ્રદેશ નેતાઓ ઇસુદાન ગઢવી, મનોજ સોરઠીયા, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા અને ચૈતર વસાવા પણ મંચ પર હાજર રહેશે. આ સંમેલનનો મુખ્ય હેતુ તાલુકા, જિલ્લા, મહાનગર અને છેક બૂથ લેવલના કાર્યકર્તાઓને આગામી રણનીતિ માટે માર્ગદર્શન આપવાનો છે.
18 હજાર સભાઓ દ્વારા જનસંપર્ક
નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ તાજેતરમાં ગુજરાતભરમાં 18 હજારથી વધુ નાની-મોટી સભાઓ કરીને જનસંપર્ક વધાર્યો છે. પાર્ટીનો દાવો છે કે આ અભિયાન બાદ જનતાનો 'આપ' પર વિશ્વાસ વધ્યો છે. કેજરીવાલનો આ પ્રવાસ આ જનવિશ્વાસને મજબૂત સંગઠનમાં બદલવા માટેનો એક મહત્વનો પગલો માનવામાં આવે છે.

