VIDEO: 10 વર્ષની જેલ, ₹10 કરોડ દંડ અને 3 મહિનામાં ચુકાદા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની જોગવાઈ; નીટ મુદ્દે નવા બિલને મોદી કેબિનેટની મંજૂરી
દેશમાં પેપર લીક વિવાદ અને વિદ્યાર્થીઓના સતત ચાલી રહેલા આંદોલન વચ્ચે શુક્રવારે કેન્દ્ર સરકારે બે અલગ-અલગ મોરચે સક્રિયતા દર્શાવી છે. એક તરફ પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) અને કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA)ની બેઠક બાદ કેન્દ્રીય મંત્રીમંડળની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંશોધિત પેપર લીક બિલના ડ્રાફ્ટ પર ચર્ચા કરીને તેને મંજૂરી આપવામાં આવી હતી. બીજી તરફ, આંદોલન કરી રહેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે નવી દિલ્હી સ્થિત 'કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા' ખાતે વાટાઘાટો યોજાઈ હતી.
પેપર લીક માફિયાઓ સામે કડક કાયદો અને સ્પે. ફાસ્ટ ટ્રેક કોર્ટ
કેબિનેટની બેઠકમાં 'પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024'ને વધુ કડક બનાવવાના પ્રસ્તાવ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. સરકાર આગામી સપ્તાહે ચોમાસુ સત્ર દરમિયાન આ સુધારેલું બિલ સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ નવા કાયદા હેઠળ પેપર લીક માફિયાઓ સામે અત્યંત કડક જોગવાઈઓ રાખવામાં આવી છે. કેસના ઝડપી નિકાલ માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટને કાનૂની મંજૂરી મળશે, જે માત્ર ત્રણ મહિનાની અંદર સમગ્ર તપાસ પૂર્ણ કરીને ચુકાદો આપી શકશે. આ ઉપરાંત, પેપર લીકના ગુનામાં 10 વર્ષની જેલની સજા અને ₹10 કરોડના ભારે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું- વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત સહન નહીં થાય
આ નિર્ણય પહેલાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, ‘પેપર લીક એ કોઈ સામાન્ય બાબત નથી. આ મુદ્દો લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના ભવિષ્ય સાથે જોડાયેલો છે. તેથી સરકાર દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે આ નવો કાયદો લાવવા જઈ રહી છે’
CJP સાથે તટસ્થ સ્થળે વાટાઘાટો: વિદ્યાર્થીઓની માંગણીઓ રજૂ થઈ
વિદ્યાર્થીઓના આંદોલનને ધ્યાનમાં રાખીને CJP અને કેન્દ્ર સરકાર વચ્ચેની આ બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. CJPએ અગાઉ મંત્રીઓના સરકારી નિવાસસ્થાને કે ઑફિસમાં બેઠક કરવાનો ઇનકાર કર્યો હતો અને કોઈ તટસ્થ સ્થળે વાટાઘાટો કરવાની શરત મૂકી હતી, જે બાદ આ બેઠક કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજવામાં આવી હતી. CJP દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલી ગડબડો માટે જવાબદારી નક્કી કરવાની તેમજ આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર દાખલ કરવામાં આવેલા કેસો પાછા ખેંચવાની મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે.
એક તરફ આંદોલનકારી વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધીને ઉકેલ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવા કડક કાનૂની માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે.

