VIDEO: ઈરાનના યુદ્ધના મેદાનમાંથી વલસાડના પુત્રોની હેમખેમ વાપસી: જાણો કેવી રીતે પાર પડ્યું 'રૅસ્ક્યૂ ઓપરેશન
VIDEO: વલસાડ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ઈરાનમાં ફસાયેલા વલસાડના 70થી વધુ માછીમારો આખરે સુરક્ષિત રીતે પોતાના વતન પરત ફર્યા છે. વલસાડ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ભવ્ય વર્મા અને જિલ્લા અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમા સહિતના અધિકારીઓએ પુષ્પગુચ્છ આપીને આ માછીમારોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
રોજગારી માટે ગયા હતા, યુદ્ધમાં ફસાયા
વલસાડ જિલ્લાના આ માછીમારો સારી આજીવિકા મેળવવાના આશય સાથે ઈરાન ગયા હતા. જોકે, મધ્ય પૂર્વમાં ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે અચાનક યુદ્ધની સ્થિતિ સર્જાતા આ માછીમારો ત્યાં ફસાઈ ગયા હતા. યુદ્ધના ભયાનક માહોલ વચ્ચે પરિવારજનોની ચિંતામાં વધારો થયો હતો. માછીમારોએ વીડિયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્ય અને કેન્દ્ર સરકારને મદદ માટે પોકાર કરી હતી.
સરકાર અને લોકપ્રતિનિધિઓની સક્રિયતા
પરિવારજનોની રજૂઆત બાદ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ અને સ્થાનિક રાજકીય અગ્રણીઓ તુરંત હરકતમાં આવ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સુધી આ બાબત પહોંચાડી હતી. ભારત સરકારના વિદેશ મંત્રાલયે ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્ક જાળવીને આ માછીમારોની વતન વાપસીનો માર્ગ મોકળો કર્યો હતો.
આભારની લાગણી
પોતાના વતનની પવિત્ર માટી પર પગ મૂકતા જ માછીમારો અને તેમના પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. માછીમારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી અને રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, "સરકારના સમયસરના હસ્તક્ષેપ વગર અમારું પરત ફરવું અશક્ય હતું."

