વલસાડ APMCની 16 દુકાનો ભાડું ન ભરાતા સીલ, કેરી સીઝન પહેલાં કાર્યવાહીથી વેપારીઓમાં રોષ

વલસાડ APMCએ આજે મોટી કાર્યવાહી કરી છે. લાંબા સમયથી ભાડું ન ભરનારા દુકાનદારો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. APMCએ 16 જેટલી દુકાનો સીલ કરી દીધી છે. કેરી સીઝન નજીક આવી રહી છે. ત્યારે થયેલી કાર્યવાહીથી વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
નોટિસ બાદ કાર્યવાહી
ભાડું ન ભરનારા વેપારીઓને આ અગાઉ ભાડું ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી. વેપારીઓને આ પહેલાં ચાર નોટિસ આપવામાં આવી હતી. કેટલાક વેપારીઓએ થોડા સમયનું ભાડું ભરવાની તૈયારી બતાવી હતી. જો કે, APMCના સંચાલકોએ નવા ભાડા સાથે અત્યાર સુધીનું તમામ બાકી ભાડું ચૂકવવાનું જણાવ્યું છે.
વેપારીઓના આક્ષેપ
દુકાનો સીલ થતાં જ વેપારીઓ તરફથી ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તેમના મતે, કેરીની સીઝન નજીક આવી રહી છે ત્યારે તેમને જૂની APMCમાંથી ખસેડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વહીવટી તંત્ર તેમને નવી ધમડાચી ખાતેની નવી APMCમાં શિફ્ટ કરવા માગે છે. આ કાર્યવાહીને કારણે વેપારી અગ્રણીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

