VIDEO: મધુ શ્રીવાસ્તવ લાલઘૂમ! "બેનર ઉતારી લેજે નહીં તો હાલત ખરાબ થશે", વડોદરામાં વિરોધીઓને સ્ટેજ પરથી ખુલ્લી ચેતવણી
VIDEO: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની એન્ટ્રીથી માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવા ઉતરેલા મધુ શ્રીવાસ્તવે જાહેર મંચ પરથી વિરોધી નેતાઓને લલકાર્યા છે. સોસાયટીઓમાં કોંગ્રેસના ઉમેદવારોને પ્રવેશ ન આપવાના બેનરો અને પોસ્ટર ફાડવાની ઘટના પર તેમણે આકરી પ્રતિક્રિયા આપી છે.
"ગઢ મારો છે એવું કહેનારા કાલે બેનર ઉતારી લેજો"
મધુ શ્રી વાસ્તવે કોઈનું નામ લીધા વગર પ્રહાર કરતા જણાવ્યું કે, "અહીંના નેતાઓ કહે છે કે આ ગઢ મારો છે. શેનો ગઢ ભાઈ? તને જીતાડ્યો પણ મેં છે અને તને હરાવ્યો પણ મેં જ છે. મારા દીકરાના વોટ પણ તારા કરતા વધુ નીકળ્યા હતા." તેમણે વધુમાં ગર્ભિત ચીમકી આપતા કહ્યું કે, "જો કોઈએ બેનર લગાવ્યું હોય તો કાલે ઉતારી લેજો, નહીં તો તારી હાલત ખરાબ થશે અને તને કોઈ બચાવવા નહીં આવે."
"જમીનો વેચીને નેતા બન્યો છું, ભ્રષ્ટાચાર કરીને નહીં"
પોતાની જીવનશૈલી અને રાજકીય સફર વિશે બોલતા મધુ શ્રીવાસ્તવે દાવો કર્યો કે તેમણે ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી. તેમણે કહ્યું, "વાઘોડિયા, વડોદરા અને ડભોઇ સુધી મારી 250 વીઘા જમીન હતી. તે વેચીને હું નેતા બન્યો છું અને લોકસેવા કરી છે. આજે મારી પાસે માત્ર 35 વીઘા જમીન રહી છે. મેં રાજકારણ માટે મિલકતો વેચી છે, જ્યારે આજે કાલના ભિખારીઓ ભ્રષ્ટાચાર કરીને માલદાર થઈ ગયા છે."
સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો
વર્તમાન શાસન પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે અત્યારે મામલતદાર કચેરીમાં દાખલો લેવા જઈએ તો પણ રૂપિયા આપવા પડે છે. ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે હવે આ સરકારને જાકારો આપવાનો સમય આવી ગયો છે. તેમણે લોકોને અપીલ કરી કે ભણેલા-ગણેલા લોકો સમજી-વિચારીને વોટ આપે.

