હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં રમશે વડોદરાની બે ખેલાડીઓ, ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે થઈ પસંદગી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ માટે ફરી એકવાર હરમનપ્રીત કૌર પર પસંદગીકારોએ વિશ્વાસ મૂકી કેપ્ટન પદ સોંપ્યું છે. ઈંગ્લેન્ડ અને વેલ્સની ધરતી પર રમાનારા આ વર્લ્ડ કપમાં વડોદરાની બે ખેલાડીઓની પસંદગી થતા ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે.
વડોદરાની રાધા અને યાસ્તિકાનો દબદબો
ભારતીય ટીમમાં વડોદરાની સ્ટાર સ્પિનર રાધા યાદવ અને વિકેટકીપર બેટર યાસ્તિકા ભાટિયાને સ્થાન મળ્યું છે. રાધા યાદવ પોતાની ધારદાર બોલિંગ અને ઓલરાઉન્ડ ક્ષમતા માટે જાણીતી છે. બીજી તરફ, યાસ્તિકા ભાટિયાએ ઈજા બાદ શાનદાર કમબેક કરીને ટીમમાં પોતાની જગ્યા બનાવી છે. બરોડા ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પ્રણવ અમીને આ બંને ખેલાડીઓની મહેનતને બિરદાવતા શુભેચ્છાઓ પાઠવી છે.
વર્લ્ડ કપનું શેડ્યૂલ
આ હાઈ-વોલ્ટેજ ટુર્નામેન્ટની શરૂઆત 12 જૂન 2026થી થવાની છે, જ્યારે આ ટાઈટલ જંગની ફાઈનલ મેચ 5મી જુલાઈના રોજ રમાશે. ભારતીય ટીમ ODI વર્લ્ડ કપ બાદ હવે T20 ફોર્મેટમાં પણ વિશ્વ વિજેતા બનવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.
મહિલા T20 વર્લ્ડ કપ માટેની 15 સભ્યોની ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), શ્રી ચરાણી, યાસ્તિકા ભાટિયા (બીજી વિકેટકીપર), નંદિની શર્મા, અરુંધતિ રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાન્તિ ગૌડા શ્રેયંકા પાટિલ અને રાધા યાદવ.
આ ટીમમાં અનુભવી ખેલાડીઓ અને યુવા પ્રતિભાઓનું સંતુલન રાખવામાં આવ્યું છે, જે ભારતને આ વખતે ચેમ્પિયન બનાવવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

