Vadodara: નવા કતલખાનાની દરખાસ્ત પરત ખેંચવા VSPCAની મ્યુનિસિપલ કમિશનરને અપીલ, જીવદયા પ્રેમીઓમાં ચિંતા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં નવું કતલખાનું સ્થાપવાની દરખાસ્ત પર વિચારણા ચાલી રહી હોવાના અહેવાલો વચ્ચે વડોદરા સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (VSPCA)ના ઉપપ્રમુખ તથા ગુજરાત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના બોર્ડ મેમ્બર રાજીવ શાહે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને પત્ર લખી દરખાસ્ત પર પુનર્વિચાર કરી તેને પરત ખેંચવાની માગ કરી છે.
રાજીવ શાહે પત્રમાં જણાવ્યું છે કે શહેરમાં નવા કતલખાનાની દરખાસ્ત અંગે જાણકારી મળી છે. આ સમાચારથી જીવદયા અને કરુણાની ભાવના ધરાવતા નાગરિકોમાં દુઃખ અને ચિંતા ફેલાઈ છે.
તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે પશુઓ સમગ્ર જીવન દરમિયાન માનવ સમાજને દૂધ, શ્રમ અને અન્ય અનેક રીતે ઉપયોગી બને છે. વૃદ્ધાવસ્થામાં પણ તેઓ છાણના માધ્યમથી કુદરતી ખાતર પૂરું પાડે છે, જે પ્રાકૃતિક અને જૈવિક ખેતી માટે મહત્વપૂર્ણ છે. તેથી પશુઓના સંરક્ષણને પ્રોત્સાહન આપવું સમયની જરૂરિયાત છે. પત્રમાં ભારતીય સંસ્કૃતિના "અહિંસા પરમો ધર્મ"ના સિદ્ધાંતનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું છે કે પશુઓની કતલ માટે નવા માળખાં ઊભાં કરવાને બદલે વૃદ્ધ અને નિરાધાર પશુઓને સંભાળ, સારવાર અને આશ્રય આપવાની દિશામાં પ્રયાસો થવા જોઈએ.
રાજીવ શાહે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યજી દેવાયેલા અને ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે ચાર આધુનિક પશુ હોસ્પિટલો શરૂ કરવાની પહેલની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આ પ્રકારના કરુણામય નિર્ણયો માનવીય સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે. એમણે મ્યુનિસિપલ કમિશનરને અપીલ કરી છે કે પશુ કલ્યાણ, પર્યાવરણના સંરક્ષણ અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને નવા કતલખાનાની દરખાસ્ત પર પુનર્વિચાર કરી તેને પરત ખેંચવામાં આવે.

