VIDEO: Vadodara / અશાંત ધારા મુદ્દે સ્થાનિકોમાં રોષ; સોસાયટીઓમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
વડોદરામાં ફરી એકવાર અશાંત ધારા નો મુદ્દો ગરમાયો છે. શહેરના R.V. દેસાઈ રોડ પર અનેક સોસાયટીઓના રહીશોએ અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે સરકાર સામે મોરચો માંડ્યો છે. સ્થાનિકોમાં વ્યાપ્ત આક્રોશ એટલી હદે વધ્યો છે કે અનેક એપાર્ટમેન્ટ્સ અને રહેણાંક વિસ્તારોમાં "અશાંત ધારો નહીં તો ચૂંટણીનો બહિષ્કાર" ના બેનરો લગાવી દેવામાં આવ્યા છે.
વડોદરાના R.V. દેસાઈ રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરવા છતાં સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા હવે લોકોએ લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણીના બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે, સમગ્ર વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત નહીં કરે, તો વિસ્તારના રહીશો મતદાનથી દૂર રહેશે. ત્યારે આ મામલે હવે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ પરંતુ શાંતિપૂર્ણ માહોલ સર્જાયો છે.
ચૂંટણીના આરે ઉભેલા વડોદરામાં આ મુદ્દો હવે રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ બની રહ્યો છે. એક તરફ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ લોકોએ બેનરો લગાવીને રાજકીય પક્ષોના પ્રવેશ પર પણ અડકતરો પ્રતિબંધ મૂક્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.

