Vadodara news: અણખોલ પાસે ડ્રેનેજ ચેમ્બરમાં ઉતરતા 2 કર્મચારીઓનાં મોત, પ્રોજેક્ટ મેનેજર અને લાઈનમેનનો ભોગ લેવાયો

Vadodara news: વડોદરા શહેર નજીક આવેલા અણખોલ ગામની સીમમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. 15 કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહેલા ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન લાઇન ચેક કરવા ઉતરેલા બે કર્મચારીઓના ગૂંગળામણને કારણે મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે વડોદરા ગ્રામ્ય પોલીસ અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
મળતી વિગતો અનુસાર, મહેસાણાની 'જ્યંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ' દ્વારા અણખોલથી કપુરાઈ એસટીપી સુધી 18 કિલોમીટર લાંબી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ચાલી રહ્યું હતું. આ પ્રોજેક્ટની અંદાજે 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. હિમાલય પાર્ટી પ્લોટ નજીક ડ્રેનેજ ચેમ્બર ચોકઅપ થતાં લાઈનમેન અક્ષય તેને ચેક કરવા માટે અંદર ઉતર્યો હતો. અંદર ઝેરી ગૅસના કારણે લાઇનમેન અક્ષય બેભાન થઈ ગયો હતો. તેને બચાવવા માટે પ્રોજેક્ટ મેનેજર વિપુલ માંગરોલિયા પણ અંદર ઉતર્યા હતા, પરંતુ તેઓ પણ બેભાન થઈ ગયા હતા.
બંનેને ગંભીર હાલતમાં બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ મૅનેજર વિપુલભાઈને સયાજી હોસ્પિટલ અને લાઈનમેન અક્ષયને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. હાલમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કે શું આ કામગીરી દરમિયાન સુરક્ષાના સાધનો અને આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ? આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં કોન્ટ્રાક્ટર સામે રોષ જોવા મળી રહ્યો છે.

