VIDEO: '4 પેઢીઓ વીતી ગઈ હોત તોય ના થાત...' વડોદરા પહોંચી PM મોદીએ અગાઉની સરકારના કયા મોટા કાંડ પરથી પડદો ઉઠાવ્યો?"
"વર્ષ 2014માં વડોદરા, ગુજરાત અને સમગ્ર દેશના લોકોએ મને ગુજરાતથી દિલ્હી મોકલ્યો હતો. અગાઉની સરકાર 2014 સુધી સત્તામાં રહી; તમે મને ત્યાં મોકલ્યો અને જનતાએ તેમને બહારનો રસ્તો બતાવી દીધો.7-8 વર્ષોમાં ફ્રેઇટ કોરિડોર પર એક કિલોમીટરનું કામ પણ પૂરું થયું નહોતું. જો દેશ તેમની પદ્ધતિઓ મુજબ જ ચાલ્યો હોત, તો કોણ જાણે કદાચ ત્રણ કે ચાર પેઢીઓ વીતી ગઈ હોત તોય આ કામ પૂરું ન થયું હોત. ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્રનો કાયાકલ્પ કરનારા એક પ્રોજેક્ટને તેમણે આવી હાલતમાં છોડી દીધો હતો. 2014 પછી મેં તરત જ આ કામને ગતિ આપવાનું શરૂ કર્યું."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે થયેલી ક્રાંતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 2800 કિલોમીટર લાંબા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર હવે ભારતના વેપાર અને વાણિજ્યની કરોડરજ્જુ સાબિત થઈ રહ્યા છે.
પરિવહન ક્ષેત્રે મોટો બદલાવ
સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, "ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ઝડપથી આગળ વધી રહેલા ભારતના વિકાસની લાઈફલાઈન છે, જેણે દેશના પરિવહન ક્ષેત્રનું ચિત્ર બદલી નાખ્યું છે. અગાઉ માલગાડીઓ અને પેસેન્જર ટ્રેનો એક જ પાટા પર દોડતી હતી, જેના કારણે યાત્રીઓનો પ્રવાસ અને માલસામાનની હેરફેર બંને અત્યંત ધીમા પડતા હતા. પરંતુ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરે આ સ્થિતિ સંપૂર્ણપણે બદલી નાખી છે."
સમય અને ઇંધણની ભારે બચત
કોરિડોરના પરિણામો અને આંકડા રજૂ કરતાં તેમણે ઉમેર્યું કે, હાલ ઇસ્ટર્ન અને વેસ્ટર્ન કોરિડોર પર પ્રતિદિન 430 થી વધુ માલગાડીઓ દોડી રહી છે. અગાઉ જે માલગાડીને 100 કિલોમીટરનું અંતર કાપવામાં 6.5 કલાક લાગતા હતા, તે હવે અડધા કરતાં પણ ઓછા સમયમાં પૂર્ણ થાય છે. ટ્રક દ્વારા જે મુસાફરીમાં સામાન્ય રીતે 30 કલાક જેટલો સમય જતો હતો, તે અંતર ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર માત્ર 10 થી 12 કલાકમાં કપાઈ રહ્યું છે. આ કોરિડોરના કાર્યરત થવાથી માત્ર સમયની જ નહીં, પરંતુ ટ્રક અને ટ્રેનો બંનેના ઇંધણની મોટી બચત થઈ રહી છે. પરિણામે માલવાહક ખર્ચ (ફ્રેઇટ કોસ્ટ) ઘટ્યો છે અને સાથે સાથે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થતાં પર્યાવરણને પણ મોટો ફાયદો મળી રહ્યો છે.
હવે નારાજ ફૂફાજી બૂમો પાડશે: PM મોદી
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના કારણે પરિવહન અને રોડ ટ્રાન્સપોર્ટ સેક્ટર પર નકારાત્મક અસર પડશે તેવી આશંકા વ્યક્ત કરી રહેલા વિરોધીઓ પીએમ મોદીએ વ્યંગ કરતાં કહ્યું કે, હવે આ નારાજ ફૂફાજીઓ બૂમો પાડશે કે આ ફ્રેઇટ કોરિડોર બનવાથી શું ટ્રક ડ્રાઇવરોને નુકસાન થશે? હવે ટ્રકો ક્યાં જશે? જે લોકોએ ટ્રક ખરીદી છે તેમનું શું થશે? આ લોકો દરેક પ્રગતિશીલ પ્રોજેક્ટમાં માત્ર અડચણો અને નકારાત્મકતા જ શોધવાનો પ્રયાસ કરે છે.
શૌચાલય અને આધુનિક ટ્રેનોની સરખામણી
પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, છેલ્લા દાયકામાં ભારત રેલવે કોચ, મેટ્રો કોચ અને રેલ એન્જિનનું મોટું ઉત્પાદક બન્યું છે. વર્ષ 2014 પછી ભારતે અત્યાર સુધીમાં આશરે 50,000 આધુનિક ટ્રેન કોચ અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું છે. જ્યારે બીજી તરફ, અગાઉની સરકારે પોતાના 10 વર્ષના શાસનમાં માત્ર 50,000 શૌચાલય પણ પૂરા બનાવ્યા નહોતા.
બુલેટ ટ્રેન અપડેટ: વડોદરાથી મુંબઈની મુસાફરી માત્ર 1.5 કલાકમાં થશે
કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. રેલવે મંત્રીએ જણાવ્યું કે બુલેટ ટ્રેનનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે અને સુરતથી વાપી વચ્ચેનો સેક્શન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ આ ટ્રેક પર 3 મહિના સુધી સુરક્ષા અને ગતિના ટ્રાયલ્સ યોજાશે, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બુલેટ ટ્રેનનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવશે.
અશ્વિની વૈષ્ણવે વડોદરાવાસીઓને ખાતરી આપી હતી કે જ્યારે બુલેટ ટ્રેન દોડશે ત્યારે વડોદરાથી મુંબઈનું અંતર માત્ર દોઢ કલાક માં કાપી શકાશે. આ આધુનિકીકરણ ખાસ કરીને દેશની યુવા પેઢી માટે એક સીમાચિહ્ન સાબિત થશે.
વડોદરાથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સ
વડાપ્રધાને ગુજરાત માટે આશરે ₹35,000 કરોડથી વધુ મૂલ્યના વિવિધ રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી:

