VIDEO: સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોનો હલ્લાબોલ: 6 મહિનાથી કમિશન ન મળતા કલેક્ટર કચેરીએ મોરચો માંડયો
Surendranagar News: રાજ્ય સરકાર દ્વારા ગરીબોને રાહત દરે અનાજ પહોંચાડવાની જવાબદારી જેમના ખભે છે, તેવા સસ્તા અનાજના દુકાનદારો જ આજે સરકારની નીતિઓને કારણે પરેશાનીમાં મૂકાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા છ મહિનાથી કમિશનની રકમ જમા ન થતા રોષે ભરાયેલા દુકાનદારોએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને તંત્ર સામે મોરચો માંડ્યો હતો.
6 મહિનાથી કમિશન બાકી
સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોનો આરોપ છે કે તેઓ છેલ્લા છ મહિનાથી નિષ્ઠાપૂર્વક ગરીબ પરિવારો સુધી અનાજ પહોંચાડી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા તેમનું કમિશન ચૂકવવામાં આવતું નથી. લાંબા સમયથી કમિશન અટકેલું હોવાથી દુકાનદારોની આર્થિક હાલત કફોડી બની ગઈ છે. ઘર ચલાવવું અને દુકાનનો ખર્ચ કાઢવો હવે તેમના માટે મુશ્કેલ બન્યો છે.
કલેક્ટર કચેરીએ પ્રદર્શન
આજે મોટી સંખ્યામાં દુકાનદારો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે જો સરકાર તાત્કાલિક નિર્ણય કરીને તેમના કમિશનની ચુકવણી નહીં કરે, તો આગામી સમયમાં કામગીરીમાં અવરોધ ઊભો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, તંત્રની આવી ઢીલી નીતિને કારણે એ દુકાનદારો જ અત્યારે મુશ્કેલીમાં છે જે રાત-દિવસ મહેનત કરીને છેવાડાના માણસ સુધી રાશન પહોંચાડે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે કેટલી ઝડપથી અદભુત નિર્ણય લઈને દુકાનદારોને ન્યાય આપે છે.

