VIDEO: ખેડૂતોને મળશે મીઠું પાણી: રાજ્ય સરકારના મહત્ત્વના નિર્ણયથી હાંસોટના 25થી વધુ ગામોમાં ખુશીની લહેર
VIDEO: ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકના ખેડૂતો માટે રાજ્ય સરકારે એક અદભુત અને દૂરંદેશી નિર્ણય લીધો છે. દરિયાનું ક્ષારયુક્ત પાણી ખેતીલાયક જમીનમાં પ્રવેશતું રોકવા માટે કીમ અને વંદ ખાડી પર બે વિયર બેરેજ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂપિયા 227 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
દરિયાનું ક્ષારયુક્ત પાણી ખાડી વિસ્તારમાં પ્રવેશતું અટકાવવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હાંસોટ પંથકમાં કીમ ખાડી અને વંદ ખાડી પર બે વિયર બેરેજના નિર્માણને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ બન્ને પ્રોજેક્ટ માટે કુલ રૂ.227 કરોડની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના જળ સંપતિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે આ પ્રોજેક્ટ અંગે રજૂઆત કરી હતી, જેને રાજ્ય સરકારે સ્વીકારી મંજૂરી આપી છે. રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયને પગલે હાંસોટ પંથકના ખેડૂતો અને સ્થાનિક આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે રાજ્ય સરકાર તેમજ જળ સંપતિ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.
કીમ ખાડી પર નિર્માણ પામનારા વિયર બેરેજ અંતર્ગત ક્રોઝવે બનાવવામાં આવશે, જેના કારણે હાંસોટ તાલુકાના ઇલાવ વિસ્તાર અને સુરત જિલ્લાના કદરામા વિસ્તાર વચ્ચે વાહનો માટે સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.વિયર બેરેજના નિર્માણથી દરિયાઈ ખારું પાણી ખાડી અને ખેતીયોગ્ય જમીનમાં પ્રવેશતું અટકશે, જેના પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે મીઠું પાણી ઉપલબ્ધ બનશે. સાથે સાથે બે જિલ્લાઓ વચ્ચે વાહન વ્યવહાર વધુ સુગમ બનતા સ્થાનિક લોકોને પણ મોટો લાભ મળશે.

