VIDEO: Surendranagar / 20થી વધુ લોકોના ટોળાએ પરિવાર પર કર્યો હિંસક હુમલો, 3 ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ વિસ્તારમાં મોડી રાત્રે જૂની અદાવતને લઈ ભારે તણાવ સર્જાયો હતો. એકાએક 20 થી વધુ લોકોના ટોળાએ એક પરિવાર પર હિંસક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ હુમલામાં એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, 80 ફૂટ રોડ પર રહેતા પરિવાર અને હુમલાખોરો વચ્ચે જૂની અદાવત ચાલતી હતી. આ અદાવતનું વેર વાળવા માટે 20 થી વધુ લોકોનું ટોળું લાકડીઓ અને અન્ય હથિયારો સાથે ધસી આવ્યું હતું અને પરિવાર પર તૂટી પડ્યું હતું. હુમલામાં ઘવાયેલા ત્રણેય સભ્યોને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત પોલીસની કામગીરીને લઈને સામે આવી છે. ભોગ બનનાર પરિવારનો આક્ષેપ છે કે, તેઓએ આ અગાઉ હુમલાની આશંકા વ્યક્ત કરીને 'બી' ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી હતી અને રક્ષણની માંગ કરી હતી. તેમ છતાં, પોલીસે કોઈ નક્કર કાર્યવાહી ન કરતા આજે આ મોટી ઘટના બની છે. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં પોલીસ પ્રશાસન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે પીડિત પરિવારે ન્યાયની માંગ કરી છે

