સુરેન્દ્રનગરમાં 'આપ'માં મોટું ભંગાણ: માલધારી નેતા સતીષ ગમારાએ પક્ષને કર્યા રામ-રામ, પક્ષમાં અવગણનાનો લગાવ્યો આરોપ

Surendranagar news: ગુજરાતના રાજકારણમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં પક્ષનું સંગઠન વધુ મજબૂત થાય તે પહેલા જ તેમાં ગાબડું પડ્યું છે. માલધારી સમાજના મજબૂત આગેવાન અને 'આપ'ના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી સતીષ ગમારાએ પોતાના હોદ્દા અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓ તેજ બની છે.
અવગણના અને નારાજગીનું પરિણામ
સતીષ ગમારાએ પક્ષ છોડવા પાછળનું મુખ્ય કારણ પક્ષમાં કરવામાં આવતી સતત અવગણનાને ગણાવ્યું છે. ખાસ કરીને તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન પક્ષના પાયાના નેતાઓની જે પ્રકારે અવગણના કરવામાં આવી, તેનાથી સતીષ ગમારા અને તેમની સાથેના અન્ય હોદ્દેદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. સતીષ ગમારાની સાથે અન્ય કેટલાક સ્થાનિક હોદ્દેદારોએ પણ રાજીનામા ધર્યા હોવાનું જાણવા મળે છે.
માલધારી સમાજમાં મોટું વર્ચસ્વ
સતીષ ગમારા માત્ર એક નેતા જ નહીં પરંતુ જિલ્લાના માલધારી સમાજમાં પણ મોટું વર્ચસ્વ ધરાવે છે. તેમના રાજીનામાથી સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના સમીકરણો બગડી શકે છે. છેલ્લા ઘણા સમયથી તેઓ પક્ષમાં સક્રિય હતા, પરંતુ આંતરિક ખટપટ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સાઈડલાઇન કરવામાં આવતા હોવાના મુદ્દે આખરે તેમણે છેડો ફાડવાનો નિર્ણય લીધો છે.
હવે આગામી ચાલ શું?
સતીષ ગમારાના રાજીનામા બાદ હવે તેઓ કયા પક્ષમાં જોડાશે તેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ ટૂંક સમયમાં જ કોઈ અન્ય મોટા રાજકીય પક્ષનો કેસરીયો કે પંજો ધારણ કરી શકે છે. તેમના આ નિર્ણયથી આગામી સમયમાં સુરેન્દ્રનગરની બેઠકો પર મતબેંક પર મોટી અસર પડવાની શક્યતા છે.

