VIDEO: ભક્તિના રંગે રંગાયું અંબાજી! 17 વર્ષની પ્રતીક્ષાનો આવ્યો અંત, શક્તિપીઠમાં પ્રભુ શ્રીરામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન
VIDEO: ગુજરાતનું સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને આદ્યશક્તિ મા અંબાનું ધામ અંબાજી આજે સંપૂર્ણપણે 'રામમય' બની ગયું છે. વિતેલા 17 વર્ષોથી અંબાજીની ધર્મપ્રેમી જનતા જે પવિત્ર ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી, તે આખરે આજે 15 માર્ચ 2026ના રોજ સાકાર થઈ છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના નવનિર્મિત ભવ્ય મંદિરમાં પ્રભુનો દરબાર સજ્જ થયો છે અને વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે.
અભિજિત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા
વિક્રમ સંવત 2082, ફાગણ વદ અગિયારસના પવિત્ર દિવસે રવિવારે બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં મંત્રોચ્ચાર સાથે ભગવાન રામની 'અચલ પ્રાણ પ્રતિષ્ઠા' વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ મંગલ પ્રસંગે શ્રી રામ-કૃષ્ણ પરિવાર અને હિંગળાજ માતાના વિગ્રહોને પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાનની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી અને પરંપરા મુજબ છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
ત્રિ-દિવસીય મહોત્સવની ઝલક
આ ભવ્ય મહોત્સવનો પ્રારંભ 13 માર્ચના રોજ હોમાત્મક યજ્ઞ સાથે થયો હતો.
બીજો દિવસ: મહોત્સવના બીજા દિવસે દાંતા રોડ સ્થિત રેવાપ્રભુ સદનથી એક ભવ્ય શોભાયાત્રા અને કલશ યાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રાત્રે ગણેશ ભુવન ખાતે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું.
અંતિમ દિવસ: આજે મહોત્સવના મુખ્ય દિવસે યજ્ઞની પૂર્ણાહુતિ અને મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
મા અંબા અને પ્રભુ રામનો સંગમ
શક્તિપીઠ અંબાજીમાં હવે ભક્તો માટે બેવડો ઉત્સવ રહેશે. લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓ હવે માં અંબાના દર્શન કર્યા બાદ ભગવાન રામના દરબારમાં પણ શીશ નમાવી શકશે. આ મંદિરના નિર્માણથી અંબાજી ધામના ધાર્મિક પર્યટનમાં પણ મોટો વધારો થવાની શક્યતા છે.

