VIDEO: Surendranagar / વાવાઝોડાથી અગરિયાઓને ભારે આર્થિક નુકસાન; વહીવટી તંત્ર દ્વારા સર્વેનો આદેશ
તાજેતરમાં ત્રાટકેલા વાવાઝોડા અને ભારે પવનના કારણે સુરેન્દ્રનગરના રણમાં મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલા હજારો અગરિયા પરિવારો પાયમાલ થયા છે. અગરિયાઓની રજૂઆત અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની મુલાકાત બાદ આખરે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા રણમાં થયેલા નુકસાનનો વિગતવાર સર્વે કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આવતીકાલથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને સ્થાનિક તંત્રની સંયુક્ત ટીમો રણના અંતરિયાળ વિસ્તારોમાં જઈને અગરિયાઓને થયેલા આર્થિક નુકસાનનો અંદાજ મેળવશે. વહીવટી તંત્રની આ કામગીરીથી અગરિયાઓમાં વળતર મળવાની આશા જાગી છે.
વાવાઝોડાને કારણે માત્ર માલ-મિલકત જ નહીં, પરંતુ મીઠાના તૈયાર પાકને પણ ભારે નુકસાન થયું છે. ભારે પવનને કારણે તૈયાર થયેલા મીઠામાં મોટા પ્રમાણમાં માટી ભળી ગઈ છે, જેનાથી મીઠું વેચાણ લાયક રહ્યું નથી. પ્રાથમિક અંદાજ મુજબ, એક અગરિયા દીઠ આશરે 200 ટન મીઠાના ઉત્પાદનને નુકસાન થયું છે. રણમાં 2500થી વધુ અગરિયાઓના ઝુંપડા ઉડી ગયા છે. આ ઉપરાંત, મીઠું પકવવા માટે વપરાતી મોંઘીદાટ મશીનરી અને વીજળી માટેની સોલાર પ્લેટો ભારે પવનમાં તૂટી જતાં અગરિયાઓ આર્થિક સંકટમાં મુકાયા છે. નોંધપાત્ર છે કે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને અગરિયાઓની વેદના સાંભળી હતી અને તંત્ર સમક્ષ નુકસાનીના સર્વે માટે ઉગ્ર રજૂઆત કરી હતી, જેના પગલે આ નિર્ણય લેવાયો છે.

