નાસીરનગર ભૂતિયા ડિમોલિશન કેસમાં હાઈકોર્ટનો સરકારને આકરો ઠપકો, અધિકારીઓને નોકરી ગુમાવવાની ચેતવણી

સુરતના નાસીરનગર ભૂતિયા ડિમોલિશન કેસમાં હાઈકોર્ટે ફરી એકવાર સરકાર, કોર્પોરેશન અને પોલીસનો કડક ઉધડો લીધો છે. કોર્ટે સરકારને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે જો કોઈ ઉચ્ચ સરકારી અધિકારી આ બાબતમાં સ્વેચ્છાએ યોગ્ય અને સાચો જવાબ નહીં આપે તો તેણે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. અધિકારીઓએ પોતાની નોકરી પણ ગુમાવવી પડી શકે છે અને આ ખર્ચ પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવો પડશે. કોર્ટે ઉમેર્યું હતું કે, જો અધિકારીઓએ આવું સાહસ કરવું જ હતું, તો હવે તેની કિંમત પણ તેમણે જ ચૂકવવી પડશે, સરકાર આ માટે જનતાના રૂપિયા નહીં બગાડે.
26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
મહત્વનું છે કે, સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત અને ભૂતિયા ડિમોલિશનના વિરોધમાં 26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અરજદારોએ આ કાયદાકીય લડાઈમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ કમિશનર, એસ.ઓ.જી.ના ડી.સી.પી. રાજદીપસિંહ નકુમ તેમજ ટોરેન્ટ પાવર કંપની સહિતના પક્ષકારો સામે પિટીશન દાખલ કરી છે.

