VIDEO: Surat / કોંગ્રેસના ઉમેદવાર અપક્ષ ઉમેદવારને લઈ કલેક્ટર કચેરી પહોંચ્યા; ફોર્મ ખેંચાવવાની ચર્ચા પર સી.એમ.સોનવણેએ કરી સ્પષ્ટતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 27 માં રાજકીય ડ્રામા જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના ઉમેદવાર સી.એમ. સોનવણે આજે અચાનક એક અપક્ષ ઉમેદવારને સાથે લઈને કલેક્ટર કચેરી પહોંચતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. ચર્ચા એવી હતી કે, તેઓ અપક્ષ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવવા માટે આવ્યા છે, પરંતુ સમગ્ર મામલામાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે ઉમેદવારે પોતે સ્પષ્ટતા કરી.
વોર્ડ નંબર 27 ના કોંગ્રેસના ઉમેદવાર સી.એમ.સોનવણે જ્યારે કલેક્ટર કચેરીએ દેખાયા, ત્યારે રાજકીય વર્તુળોમાં એવી વાત ફેલાઈ હતી કે તેઓ ચૂંટણીમાં મતોનું વિભાજન રોકવા માટે અપક્ષ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવવા માટે દબાણ કરી રહ્યા છે અથવા સમજાવટ કરી રહ્યા છે. જોકે,GSTVની ટીમ સાથેની ખાસ વાતચીતમાં તેમણે આ વાતને નકારી કાઢી હતી.
સી.એમ.સોનવણેએ જણાવ્યું હતું કે, "હું એક સાચો આંબેડકરવાદી છું. હું અહીં કોઈનું ફોર્મ ખેંચાવવા માટે આવ્યો નથી." તેમણે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, એક ગરીબ પરિવારના સભ્ય પાસે ગેસનો બાટલો ન હોવાથી, તેમને ગેસની નોંધણી કરાવવા માટે મદદ કરવાના હેતુથી તેઓ કલેક્ટર કચેરીએ આવ્યા હતા. ત્યારે આ મુલાકાતને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

