VIDEO: રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન: સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા સાવધાન! પોલીસ લેશે કડક એક્શન
VIDEO: રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા ડિમોલેશનના મુદ્દે રાજકોટ પોલીસ અત્યંત સતર્ક બની છે. આ સંવેદનશીલ બાબતે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
સાયબર ક્રાઈમનું સતત મોનિટરિંગ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, જંગલેશ્વર ડિમોલેશન અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર આપત્તિજનક ટિપ્પણી કે ખોટી અફવાઓ ફેલાવનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા 24 કલાક સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
તંત્રની જનતાને અપીલ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપીએ જનતાને અપીલ કરી છે કે, "કોઈપણ વ્યક્તિએ વેરિફિકેશન વગરના મેસેજ ફોરવર્ડ કરવા નહીં કે કોઈની લાગણી દુભાય તેવી પોસ્ટ કરવી નહીં. શહેરની શાંતિ જાળવવી એ દરેક નાગરિકની ફરજ છે. જો કોઈ શખ્સ અફવા ફેલાવતા ઝડપાશે તો તેની ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે."

