VIDEO: મણિનગર ગાદીના આંગણે ભક્તિનો મહાસંગમ: ઘનશ્યામ મહારાજનો 82મો પાટોત્સવ અને વેદરત્ન બાપાનો પીઠાર્પણ ઉત્સવ ઉજવાયો
VIDEO: અમદાવાદ શહેરમાં આવેલા મણિનગર વિસ્તારના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન-ઘનશ્યામ મહારાજનો 82મો વાર્ષિક પાટોત્સવ અત્યંત ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. આ પવિત્ર અવસરે મંદિરના શિખરબદ્ધ ગુંબજો ભક્તિના રંગે રંગાયા હતા અને દેશ-વિદેશના હજારો હરિભક્તો આ દિવ્ય ક્ષણના સાક્ષી બન્યા હતા.
રાજોપચાર વિધિ અને અભિષેક
પાટોત્સવ નિમિત્તે મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ અને સર્વોપરી ગુરુપરંપરાની મૂર્તિઓ પર શુદ્ધોદક જળ, દૂધ, દહીં, શર્કરા, ઘી, મધ અને અત્તર સહિતના દ્રવ્યોથી અદભુત રાજોપચાર વિધિ પૂર્વક અભિષેક કરવામાં આવ્યો હતો. આ ભવ્ય અભિષેક બાદ ભગવાનને નયનરમ્ય શણગાર ધરાવી ભવ્ય અન્નકૂટની આરતી ઉતારવામાં આવી હતી.
પીઠાર્પણ ઉત્સવ અને આશીર્વચન
આ મહોત્સવમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો 47મો પીઠાર્પણ ઉત્સવ પણ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે આશીર્વાદ આપતા વર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી મહારાજે જણાવ્યું હતું કે, "મંદિરો એ સંસ્કારના કેન્દ્રો છે. જેટલા બાળકો અને યુવાનો સંસ્કારી બનશે, તેટલું જ વૃદ્ધાવસ્થામાં સુખ મળશે. જો બાળકને સંસ્કાર આપ્યા હશે તો ધન અને વારસો બંને સચવાશે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજના આધુનિક યુગમાં ટેક્નોલૉજી ગમે તેટલી પ્રગતિ કરે, પણ માનસિક શાંતિ માટે ભગવાનના દર્શન અને સત્સંગ અત્યંત જરૂરી છે. યુવાનોએ દરરોજ દર્શનનો નિયમ રાખવો જોઈએ.
ચાર દિવસીય ભક્તિસભર આયોજન
ચતુર્થ દિવસીય આ મહોત્સવમાં વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ અને અબજીબાપાની વાતોની સમૂહ પારાયણનું આયોજન કરાયું હતું. ભક્તોએ આ દિવ્ય મહોત્સવના દર્શનનો લ્હાવો લીધો હતો.

