VIDEO: કુમકુમ મંદિર પાલડી: ઘનશ્યામ મહારાજનો અભિષેક અને અન્નકૂટના દર્શન, જાણો શું છે ખાસિયત?
VIDEO: અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે ફાગણ સુદ ત્રીજ, શુક્રવારના રોજ પાટોત્સવની અત્યંત દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલકારી અવસરે મંદિરના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના 84મા દીક્ષા દિન નિમિત્તે વિશેષ પૂજન અને સન્માનના કાર્યક્રમો યોજાયા હતા.
ભક્તિમય પાટોત્સવ અને અભિષેક
તા. 20 ફેબ્રુઆરીના રોજ આયોજિત આ પાટોત્સવમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મહારાજના દિવ્ય વિગ્રહનું ષોડ્શોપચાર વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્રી ઘનશ્યામ મહારાજ પર અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવી આરતી ઉતારવામાં આવી હતી, જેનો સેંકડો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
84 વર્ષની સંયમ અને સમર્પણની ગાથા
આ પાટોત્સવનું મુખ્ય આકર્ષણ કુમકુમ મંદિરના સંસ્થાપક અને સાધુતાની મૂર્તિ મનાતા સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો 84મો દીક્ષા દિન હતો. ઉલ્લેખનીય છે કે, શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ તેમને પોતાના પ્રથમ ત્યાગી પટ્ટશિષ્ય તરીકે દીક્ષા આપી હતી. આ 84 વર્ષની અવિરત સેવા અને ત્યાગને બિરદાવવા માટે સ્વામીજીને 15 ફૂટનો વિશાળ અને મનોહર પુષ્પહાર પહેરાવી તેમની વંદના કરવામાં આવી હતી.
સંસ્કૃતિના આધાર સ્તંભ: મંદિર, શાસ્ત્ર અને સંત
આ અવસરે મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, "ભારતીય સંસ્કૃતિનો સાચો આધાર સ્તંભ મંદિરો, શાસ્ત્રો અને સંતો છે. આ ત્રિવેણી સંગમ દ્વારા જ સમાજમાં ઉમદા સંસ્કારોનું સિંચન થાય છે." તેમણે વધુમાં ઉમેર્યું કે જેમ નારદજીના સંપર્કથી વાલિયો લૂંટારો વાલ્મિકી ઋષિ બની ગયા, તેમ સંતોના યોગમાં આવવાથી મનુષ્યના જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે.
યુવાધનને વ્યસનમુક્તિની રાહ બતાવી
સાધુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશના ખૂણેખૂણે ભ્રમણ કરીને હજારો યુવાનોને ભક્તિ અને સદાચારના માર્ગે વાળ્યા છે. આજે તેમના માર્ગદર્શન હેઠળ અસંખ્ય પરિવારો વ્યસનમુક્ત અને નૈતિક જીવન જીવી રહ્યા છે. સવારે જાગીને ધ્યાન-પ્રાર્થના કરવી, નિત્ય દર્શન કરવા અને વ્યવસાય કે નોકરીમાં પ્રામાણિકતા રાખવાના સંસ્કારો સ્વામીજીએ સમાજમાં પ્રસ્થાપિત કર્યા છે.

