VIDEO: રાજકોટ કલેક્ટરની સ્પષ્ટ ચેતવણી: જંગલેશ્વરમાં દબાણ કરનારાઓને નહીં મળે વૈકલ્પિક વ્યવસ્થા, હાઈકોર્ટના આદેશનું થશે પાલન
VIDEO: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણો હટાવવા મુદ્દે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશનું મોટું નિવેદન સામે આવ્યું છે. હાઈકોર્ટના નિર્દેશો બાદ તંત્ર એક્શન મોડમાં છે, ત્યારે કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે દબાણ કરનારાઓને વૈકલ્પિક આવાસ કે અન્ય કોઈ વ્યવસ્થા પૂરી પાડવાની સરકારમાં કોઈ જોગવાઈ નથી.
હાઈકોર્ટના આદેશનું પાલન થશે
જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નામદાર હાઈકોર્ટે જે નિર્દેશો આપ્યા છે તેનું વહીવટી તંત્ર દ્વારા અક્ષરશઃ પાલન કરવામાં આવશે. હાઈકોર્ટે અસરગ્રસ્તોને GRT (Gujarat Revenue Tribunal) માં અપીલ કરવા માટે ચોક્કસ મુદત આપી છે. જોકે, હાઈકોર્ટ તરફથી વહીવટી તંત્રને અત્યારે દબાણ કામગીરી રોકવા અંગેની કોઈ સૂચના મળી નથી.
વૈકલ્પિક વ્યવસ્થાની દલીલ ફગાવી
જંગલેશ્વરના રહેવાસીઓ દ્વારા જે વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરવામાં આવી રહી હતી, તેના પર કલેક્ટરે પૂર્ણવિરામ મૂકતા કહ્યું કે, સરકારી જમીન પર દબાણ હોઈ શકે છે પરંતુ દરેક વ્યક્તિને વૈકલ્પિક વ્યવસ્થા આપવી વહીવટી તંત્ર માટે શક્ય નથી. નિયમ મુજબ આવી કોઈ જોગવાઈ અસ્તિત્વમાં નથી. આ નિવેદન બાદ જંગલેશ્વરના દબાણ કરનારાઓમાં દોડધામ મચી ગઈ છે.

