Rajkot Silver Theft Case: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 40 કિલો ચાંદી સાથે વધુ એકને દબોચ્યો, વકીલની ભૂમિકા આવતા ખળભળાટ

Rajkot Silver Theft Case: રાજકોટની 'શક્તિ સિલ્વર' પેઢીમાં થયેલી 140 કિલો ચાંદીની ઘરફોડ ચોરીના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી મંગુસિંહ રાઠોડ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીના ઘરેથી ચોરીની 40 કિલો ચાંદી અને તેને ઓગાળવા માટે રાખેલી ભઠ્ઠી સહિતના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અગાઉ પકડાયેલા પ્રદીપ પ્રજાપતિએ આ ચાંદી મંગુસિંહને સગેવગે કરવા માટે સોંપી હતી.
વકીલની ભૂમિકા પણ આવી સામે
આ ગુનાની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં કાયદાકીય જ્ઞાન ધરાવતા વિક્રમસિંહ રાજપૂત નામના વકીલે મુખ્ય સૂત્રધાર મુકેશ પ્રજાપતિની ઓળખાણ મંગુસિંહ સાથે કરાવી હતી. મુકેશ પ્રજાપતિએ મંગુસિંહને ચોરીની ચાંદી ઓગાળી આપવાના બદલામાં કુલ રકમના 10 ટકા હિસ્સો આપવાની લાલચ આપી હતી. કાયદાના જાણકારે જ ગુનેગારોને રસ્તો બતાવ્યો કે ચોરીની ચાંદીને કેવી રીતે ઠેકાણે પાડવી! પકડાયેલા આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે અગાઉ 10 કિલો જેટલી ચાંદી ઓગાળીને મુખ્ય આરોપી સુધી પહોંચાડી પણ દીધી હતી.
ત્રણ શખ્સોની ધરપકડ, માસ્ટર માઈન્ડ ફરાર
ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધીમાં પ્રદીપ પ્રજાપતિ, મંગુસિંહ અને ચોરીમાં વપરાયેલી ક્રેટા કાર પૂરી પાડનાર રાજુ ભોજક એમ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ત્રણેય પાસેથી અત્યાર સુધીમાં કુલ 111 કિલો ચાંદીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. જોકે, આ આખી ઘટનાનો માસ્ટરમાઇન્ડ અને રીઢો ગુનેગાર મુકેશ પ્રજાપતિ હજુ પણ ફરાર છે. પોલીસના જણાવ્યા મુજબ, મુકેશની ધરપકડ બાદ જ આ રેકેટમાં જોડાયેલા અન્ય સાગરીતો અને બાકીની ચાંદી વિશેની વિગતો સ્પષ્ટ થશે.

