Rajkot News: આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત

Rajkot News: રાજકોટમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા પરિવાર દ્વારા તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ત્યાંથી તેને અમદાવાદમાં સારવાર અર્થે મોકલવામાં આવી. પરંતુ, અમદાવાદમાં સારવાર દરમિયાન જ તેનું મોત નિપજ્યું હતું.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, રાજકોટમાં બુધવારે (8 ઓક્ટોબર) 28 વર્ષીય હરસિદ્ધિ ભારડીયા નામની મહિલા પોલીસકર્મીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે આજીડેમ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી. મહિલાએ આપઘાતનું પગલું ભર્યાની જાણ થતાં પરિવારના લોકો તુરંત તેને હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. જોકે, ત્યાંથી તેને અમદાવાદ સારવાર માટે મોકલવામાં આવી હતી. પરંતુ, શુક્રવારે (10 ઓક્ટોબર) વહેલી સવારે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
કેમ કર્યો આપઘાત?
સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, પોલીસને સમગ્ર મામલે કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પરંતુ, પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, મહિલાએ ઘરકંકાસના કારણે આ પગલું ભર્યું હોય શકે. છેલ્લાં ઘણાં સમયથી તેના ઘરમાં પતિ અને અન્ય સભ્યો સાથે ઝઘડા ચાલી રહ્યા હતા અને પતિ કોઈ કામ ન કરતો હોવાના કારણે પણ અવારનવાર ઝઘડા થયા હતા. જોકે, હજુ સુધી આ મામલે કોઈ નક્કર માહિતી સામે આવી નથી.
પોલીસે હાલ, મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ મામલે વધુ સ્પષ્ટતા પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ થશે.

