VIDEO: Rajkot / જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણો પર ફરશે બુલડોઝર, 720 દબાણકારોની અરજી મહેસૂલ પંચે ફગાવી
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તંત્રને મોટી સફળતા મળી છે. લાંબા સમયથી કાયદાકીય ગૂંચમાં અટવાયેલા આ મામલે મહેસૂલ પંચે ચુકાદો આપતા 720 જેટલા દબાણકારોની અરજી ફગાવી દીધી છે. આ નિર્ણય સાથે જ જંગલેશ્વરમાં મોટા પાયે ડિમોલિશન હાથ ધરવાનો માર્ગ હવે મોકળો બન્યો છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉ જંગલેશ્વર વિસ્તારના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમ સામે દબાણકારોએ મહેસૂલ પંચમાં અરજી નાખી હતી અને સ્ટે મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે, મહેસૂલ પંચે તમામ પાસાઓની તપાસ કર્યા બાદ કલેક્ટરના હુકમને યોગ્ય ઠેરવીને તેને યથાવત રાખ્યો છે. મહેસૂલ પંચના આ કડક વલણથી 720 જેટલા દબાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે આ વિસ્તારમાં વર્ષોથી જમાવેલા ગેરકાયદે કબ્જાઓ પર બુલડોઝર ફરવું નિશ્ચિત બન્યું છે.
મહેસૂલ પંચ તરફથી લીલી ઝંડી મળતા જ રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશનની રણનીતિ ઘડવામાં આવી રહી છે. જંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આગામી દિવસોમાં ગમે ત્યારે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે. જંગલેશ્વરમાં સરકારી જમીન પરના દબાણોનો મુદ્દો રાજકોટમાં લાંબા સમયથી ચર્ચાસ્પદ રહ્યો છે. આ ગેરકાયદે બાંધકામોને કારણે શહેરના વિકાસ અને વ્યવસ્થામાં અવરોધ ઊભો થતો હોવાની ફરિયાદો ઉઠતી રહી હતી. મહેસૂલ પંચના આ નિર્ણયથી હવે જૂના વિવાદનો અંત આવશે એવુ લાગી રહ્યું છે.

