Jangleshwar Mega Demolition: ડ્રોન સર્વેલન્સ વચ્ચે 1200થી વધુ મકાનો જમીનદોસ્ત; છત ગુમાવનારા પરિવારોનો નેતાઓ સામે ભારે રોષ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલું મેગા ડિમોલિશન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું હતું. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, આજે સવારે 11 વાગ્યા સુધીમાં જ કુલ 1224 મકાનો તોડી પાડવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં અત્યારે કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે.
ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ડ્રોનના લાઈવ વિઝ્યુઅલ દ્વારા કંટ્રોલ રૂમમાંથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જે વિસ્તારોમાં ડિમોલિશન પૂર્ણ થયું છે, ત્યાંથી કાટમાળ હટાવવા માટે જેસીબી અને ડમ્પરની મદદથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
GSTV સાથેની વાતચીતમાં સ્થાનિકોએ તંત્ર અને રાજકીય નેતાઓ સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. 45 વર્ષથી આ વિસ્તારમાં રહેતા પરિવારોએ રડતી આંખે જણાવ્યું કે, "ચૂંટણી આવે ત્યારે નેતાઓ હાથ જોડીને વોટ માંગવા ઘરે-ઘરે આવે છે, પણ આજે જ્યારે અમારા માથેથી છત છીનવાઈ ગઈ છે ત્યારે બે દિવસથી એક પણ નેતા દેખાયા નથી." સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી કે હવે જો કોઈ નેતા અહીં આવશે તો લોકો તેમને ભગાડશે. તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં રમઝાન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે ડિમોલિશનના કારણે આ વિસ્તારમાં પાણી અને વીજળીના કનેક્શન કાપી દેવામાં આવ્યા છે.

