Rajkot: જંગલેશ્વરમાં બુટલેગરો અને ડ્રગ પેડલરોના વૈભવી બંગલાઓ પર ફરી વળ્યું બુલડોઝર
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનનો આજે બીજો દિવસ છે. સોમવારે (23મી ફેબ્રુઆરી) વહેલી સવારથી મહા પાલિકાના 68 જે.સી.બી., 7 હિટાચી અને કટર,બ્રેકર સહિત 300 જેટલા સાધનો-વાહનો સાથે શહેરના ઈતિહાસનું સૌથી મોટુ અને સંવેદનશીલ એરિયામાં ડિમોલિશન હાથ ધરાયું હતું. જેમાં 1119 મકાનોને જમીન દોસ્ત કરી દેવાયા હતા.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા મેગા ડિમોલિશનના બીજા દિવસે DCP હેતલ પટેલે મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, અંદાજે 300 જેટલા કાચા-પાકા મકાનો અને વૈભવી બંગલાઓ તોડી પાડવાની કામગીરી અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. આ ઝુંબેશ હેઠળ ખાસ કરીને બુટલેગરો, ડ્રગ પેડલરો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ગેરકાયદે બાંધકામોને ઓળખીને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે. DCPએ વધુમાં ઉમેર્યું કે, ટીપી રોડ ખુલ્લો થવાથી ભવિષ્યમાં પોલીસ કાર્યવાહી વધુ સુગમ બનશે, કારણ કે અગાઉ કોર્ટ સમન્સ બજાવવા જેવી કામગીરીમાં પોલીસને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

