VIDEO: Rajkot / ધોરાજી હત્યાકાંડમાં પોલીસની કામગીરી સામે પરિવારનો રોષ, FIR માં 4 આરોપીઓના નામ નોંધવાની માંગ
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં યુવાનની હત્યાના મામલે હવે રાજકારણ અને પોલીસની ભૂમિકાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. મૃતક હિમાલય બારૈયાના પરિવારે પોલીસ પર સીધો આક્ષેપ કર્યો છે કે રાજકીય દબાણ હેઠળ પોલીસ ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, આ લોહિયાળ ખેલની શરૂઆત વિવેક બારૈયા સાથેની માથાકૂટથી થઈ હતી. હાઈવે પર વિવેકને ચાર શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઝઘડા બાદ વિવેક તેના ભાઈઓને બોલાવી લાવતા આરોપીઓએ હિંસક હુમલો કર્યો હતો, જેમાં હિમાલય બારૈયાનું કરુણ મોત નીપજ્યું હતું.
મૃતકના કાકા અને ભાઈએ ભારે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, હુમલા વખતે કારમાં કુલ ચાર શખ્સો સવાર હતા. જેમાં ભગીરથસિંહ જેઠવા અને મહિદીપસિંહ જેઠવા ઉપરાંત ભાજપ અગ્રણીનો પુત્ર વર્ધમાન માથુકિયા અને અન્ય એક અગ્રણી સંદીપ ટોપિયા પણ સામેલ હતા. ત્યારે પરિવારે આક્ષેપ કર્યો છે કે, FIRમાં માત્ર બે જ જણાના નામ લખવા માટે પોલીસ દબાણ કરી રહી છે. રાજકીય વગ ધરાવતા આરોપીઓને બચાવવા માટે પોલીસ કોઈ મોટા નેતાના ઈશારે કામ કરી રહી છે. ઘટનાના સીસીટીવી અને મૃતક યુવાનના કાકા સાથેનો રૂપિયાની લેતી-દેતી અંગેનો વર્ધમાન માથુકિયાનો ઓડિયો હોવા છતાં પોલીસ કેમ નરમ છે? જો પોલીસ ચારેય આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં કરે અને નિષ્પક્ષ તપાસ નહીં થાય તો મૃતકના પરિવારે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

