વરાણામાં મહામેળાનો પ્રારંભ: ખોડિયાર ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, જાણો આ મેળાનું ધાર્મિક મહત્ત્વ

Varana Khodiyar Dham Mela 2026: પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું જગવિખ્યાત યાત્રાધામ વરાણા અત્યારે ભક્તિના રંગે રંગાયું છે. અહીં આવેલા પ્રાચીન ખોડિયાર મંદિરમાં મહાસુદ આઠમના ખોડિયાર માતાજીના જન્મદિન નિમિત્તે 15 દિવસના ભવ્ય મહામેળાનો પ્રારંભ થયો છે. વઢિયાર પંથકની આસ્થાના કેન્દ્ર સમાન વરાણામાં ગુજરાતના ખૂણે-ખૂણેથી માઈભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.
જન્મોત્સવ અને આસ્થા
મહાસુદ આઠમના રોજ શક્તિ સ્વરૂપ માતા ખોડિયારનો જન્મદિવસ હોવાથી મેળાનું વિશેષ મહત્વ છે. અહીં માતાજીના પ્રાચીન ગોખ અને મનોહર મૂર્તિના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. મેળામાં લોકો શ્રદ્ધાપૂર્વક તલ અને ખાંડ મિશ્રિત ઘાણી ચઢાવવાની પરંપરાગત માનતા પૂરી કરે છે. આ ઉપરાંત, પ્રભુતામાં પગલાં પાડતા નવયુગલો અહીં આવીને પોતાની છેડાછેડી છોડે છે અને સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ મેળવે છે.
સુરક્ષા અને વ્યવસ્થા
પાટણ જિલ્લાના વરાણા ગામમાં દર વર્ષે ભરાતા મહા મેળામાં ઉમટી પડતા ભક્તોના અવિરત પ્રવાહને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વરાણા ગામમાં પોલીસ છાવણી ખડકાઈ છે અને સીસીટીવી કેમેરા તેમજ પોલીસ પેટ્રોલિંગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના તમામ ભાવિકો માટે વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી અને દર્શનની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.

