Ankleshwar news: વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયો કેમિકલ વેપારી, પોલીસે 1.26 કરોડ પડાવનાર ગેંગને દબોચી
Ankleshwar news: ભરુચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક નગર અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા કેમિકલ ટ્રેડિંગ કરતા વેપારીએ વ્યાજે લીધેલ રૂ.50 લાખ સામે રૂ. 1.26 કરોડ વ્યાજ ચૂકવ્યા છતાં ત્રાસ આપતા ત્રણ વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર જી.આઈ.ડી.સીની જલધારા ચોકડી પાસે આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણાબેન મોદીના પતિ કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે.તેઓના પતિને વ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસે 4 ટકા વ્યાજ ઉપર 50 લાખ રૂપિયા લીધા હતા.જે માટે સિક્યુરિટી પેટે 25-25 લાખના બે ચેક આપ્યા હતા.અને જ્યાં સુધી 50 લાખ પરત નહીં આપો ત્યાં સુધી દર મહિને 2.15 લાખ જમા કરવા માટે કહ્યું હતું. જે બાદ 45 મહિના સુધીમાં 96.75 લાખ અને 30 લાખ ઓનલાઈન મળી કુલ 1.26 કરોડ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા 50 લાખ રૂપિયા માંગી ધાક ધામકીઓ આપી રહ્યા હતા.
આ અંગે યોગેશ મોદીના પત્ની પ્રવિણાબેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે વ્યાજખોર અફઝલ પઠાણ સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી અફઝલ પઠાણ,તૌસિફ શેખ અને ઝુંબેર શેખને નામના શખ્સોને ઝડપી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલ આરોપી અફઝલ પઠાણ ગેરવ્યાજબી રીતે લોકોને ઊંચા વ્યાજે નાંણા આપી તેની પઠાણી ઉઘરાણી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.સાથે જ આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગુના પણ નોંધાઇ ચુક્યા છે.

