Panchmahal / ST બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડમ્પરચાલકનું મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં એરાલ નજીક આવેલા પાણીયા ગામ પાસે આજે (12 સપ્ટેમ્બર) સવારે એસટી બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બોડેલીથી ગોધરા જઈ રહેલી એસટી બસમાં સવાર 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત સર્જાતાં જ આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા. તેણે ઈજાગ્રસ્ત મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તેમજ એસટી નિગમના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એસટી બસના કંડક્ટરના જણાવ્યાઅનુસાર, એરાલ પીકઅપ બસ સ્ટેન્ડ પરથી મુસાફરોને લીધા બાદ બસ થોડી જ આગળ વધી હતી, ત્યારે સામેથી કપચી ભરેલું ડમ્પર પૂરઝડપે આવ્યું હતું અને બસ સાથે ટકરાયું હતું. ડમ્પરને સામેથી આવતું જોઈ બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબૂ રાખી બસને રોડ સાઈડ લેવાનો પ્રયાસ કર્યો હતો.

