VIDEO: Navsari / 'પહેલા આવાસ, પછી જ વિકાસ', 41 આદિવાસી વસાહતો પર ડિમોલિશનની તલવાર લટકતા હજારો પરિવારો રસ્તા પર ઉતર્યા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો વધી રહ્યો છે ત્યારે નવસારીમાં વિકાસની યોજના વિવાદનું કેન્દ્ર બની છે. શહેરના રસ્તા પહોળા કરવાની મનપાની તજવીજ સામે આજે આદિવાસી સમાજનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. નવસારીની 41 જેટલી આદિવાસી વસાહતોમાં રહેતા હજારો પરિવારોના ઘર પર ડિમોલિશનની તલવાર લટકતા આજે મનપા કચેરી ખાતે જનમેદની ઉમટી પડી હતી.
આદિવાસી જનજાગૃતિ સમિતિના નેજા હેઠળ યોજાયેલી આ વિશાળ રેલીમાં પુરુષો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 'પહેલા આવાસ, પછી જ વિકાસ'ના નારા સાથે હજારો પરિવારોએ મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દાયકાઓથી આ વસાહતોમાં વસતા પરિવારોનો આરોપ છે કે તંત્ર તેમને વિશ્વાસમાં લીધા વગર જ તેમના આશિયાના છીનવી લેવાની તૈયારી કરી રહ્યું છે.
'આદિવાસી જનજાગૃતિ સમિતિ'ના નેજા હેઠળ યોજાયેલી આ વિશાળ રેલીમાં કલેક્ટર અને કમિશનરને આવેદન આપી તાત્કાલિક માલિકી હકની માંગ કરવામાં આવી છે. આદિવાસીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે તંત્ર તેમને વિશ્વાસમાં લીધા વગર એકપક્ષીય કાર્યવાહી કરી રહ્યું છે. આ આંદોલનના મુખ્ય ચાર મુદ્દાઓ છે જેમાં માલિકી હક, પુનઃવસન, બાંધકામ મંજૂરી અને લોકશાહી અભિગમ જેવા મુદ્દાઓ સામેલ છે. આદિવાસી પરિવારોની માંગ છે કે જે જમીન બચે તેના પર તેમને ઉપરના માળ બાંધવાની મંજૂરી મળે અને કોઈપણ યોજના લાવતા પહેલા સમાજના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણીના આ માહોલમાં તંત્ર આ આક્રોશને શાંત પાડવા શું પગલાં ભરે છે.

