VIDEO: "પોતાની સરકારમાં જ ધરણા કરવા પડે તો રાજીનામું આપી દો!"; સાગબારામાં ભાજપ નેતાઓ પર ભડક્યા કોંગ્રેસ ધારાસભ્ય
ઉમરપાડા અને સાગબારા પંથકમાં જંગલ જમીન મામલે ચાલી રહેલો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. છેલ્લા ૭ દિવસથી પોતાના હક અને અધિકારો માટે ધરણા પર બેઠેલા આદિવાસી ખેડૂતોની મુલાકાત લેવા કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, પૂર્વ ધારાસભ્ય પી. ડી. વસાવા તેમજ પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ભાજપના નેતાઓની ઉપજ, વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવીશું: તુષાર ચૌધરી
ખેડૂતોની વેદના સાંભળ્યા બાદ વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ શાસક પક્ષ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, આ સમગ્ર વિવાદ ભાજપના નેતાઓની જ ઉપજ છે. જો ભાજપના નેતાઓએ મુખ્યમંત્રીને સાચી રજૂઆત કરી હોત, તો આ મામલાનો તાત્કાલિક નિકાલ આવી ગયો હોત અને ગરીબ ખેડૂતોને દિવસો સુધી ધરણા પર બેસવાની નોબત ન આવી હોત. તેમણે ખાતરી આપી હતી કે આગામી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં જંગલ જમીનના આ ગંભીર પ્રશ્નને જોરશોરથી ઉઠાવવામાં આવશે.
પોતાની સરકારમાં ધરણા કરવા પડે તો રાજીનામું આપી દો: અનંત પટેલ
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ભાજપ સરકાર અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સામે આકરો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ માત્ર રાજકીય નાટક કરી રહ્યા છે. પોતાની જ સરકાર સત્તામાં હોવા છતાં જો સાંસદ અને ધારાસભ્યએ ધરણા પર બેસવું પડતું હોય, તો તે અત્યંત શરમજનક બાબત છે. આવા નેતાઓએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. જો મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હોય તો અત્યાર સુધી ઉકેલ કેમ ન આવ્યો? મુખ્યમંત્રી કક્ષાએ કંઈ ઉપજતું ન હોવાથી માત્ર જનતાનું ધ્યાન ભટકાવવા માટે ધરણાનું નાટક કરવામાં આવી રહ્યું છે.
અધિકારીઓનો ઉડાઉ જવાબ અને રાજકીય સ્ટંટનો આરોપ
મુલાકાત દરમિયાન ધારાસભ્ય અનંત પટેલે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (ACF) ગૌરવ લોઢા સાથે ફોન પર વાતચીત કરી તાત્કાલિક સ્થળ પર આવી પ્રશ્નનો ઉકેલ લાવવા જણાવ્યું હતું. જોકે, અધિકારી દ્વારા 'હું સુરત છું અને આવતાં ૩ કલાક લાગશે' જેવો સરકારી અને ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો.
કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સાગબારાના ખેડૂતો સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે. ભાજપના નેતાઓ પોતાના અંગત રાજકીય સ્ટંટ અને રોટલા શેકવા માટે સ્થાનિક આદિવાસી ખેડૂતોને હેરાન-પરેશાન કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ ખેડૂતોના હકની આ લડાઈમાં અંત સુધી સાથે રહેશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

