Narmada: રાજપીપળા સિવિલના સિનિયર રેસિડન્ટ ડોક્ટરનો રહસ્યમય સંજોગોમાં મળ્યો મૃતદેહ, પોલીસ તપાસ તેજ

નર્મદા જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર રેસિડન્ટ ડોક્ટરનો મૃતદેહ તેમના જ નિવાસસ્થાનેથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. એનેસ્થેસિયા વિભાગમાં કાર્યરત ડોક્ટર હર્ષ ચૌધરીના આકસ્મિક નિધનથી અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે.
હર્ષ બેડ પર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા
મળતી માહિતી અનુસાર, ડોક્ટર હર્ષ ચૌધરી છેલ્લા 6 મહિનાથી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સિનિયર રેસિડન્ટ એનેસ્થેસિયોલોજિસ્ટ તરીકે સેવા આપી રહ્યા હતા. આઠમી મેના રોજ તેઓ પોતાની નિયમિત ડ્યુટી પર હાજર થયા ન હતા. સાથી ડોક્ટરોએ તેમનો ફોન પર સંપર્ક કરવાનો વારંવાર પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. ત્યારબાદ, જ્યારે અન્ય તબીબોએ તેમના રૂમ પર જઈ તપાસ કરી, ત્યારે ડો. હર્ષ તેમના બેડ પર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટનો મોટો ઘટસ્ફોટ!
આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ ડો. હર્ષ 'આઈ.વી. ડ્રગ્સ' લેતા હોવાનું સામે આવ્યું છે. જોકે, આ નશાનું સેવન હતું કે અન્ય કોઈ કારણસર દવાઓ લેતા હતા, તે તપાસનો વિષય છે.
પોલીસ તપાસ તેજ
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃત્યુનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ કુદરતી મૃત્યુ છે કે આપઘાત. હોસ્પિટલ પરિસરમાં અને સાથી કર્મચારીઓમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચાઓ જાગી છે. રાજપીપળા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

