Narmada news : તેલંગણાના 5 પ્રવાસીઓ ઝરવાણીના જંગલમાં ભૂલા પડયાં, પોલીસ-વન વિભાગે કલાકોમાં રૅસ્ક્યૂ કર્યું

Narmada news : નર્મદા જિલ્લાના પ્રવાસી સ્થળ ઝરવાણી ખાતે ફરવા આવેલા 8માંથી તેલંગાણાના પ્રવાસીઓના 5 સભ્યો રસ્તો ભૂલી જતાં ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, ગુજરાત સરકારની ત્વરિત કાર્યવાહી અને પોલીસ-વન વિભાગની સજ્જતાને કારણે ગણતરીના કલાકોમાં તમામ પાંચ વ્યક્તિઓને સુરક્ષિત શોધી કાઢવામાં આવ્યા હતા.
જંગલમાં વિખૂટા પડ્યા, સોશિયલ મીડિયા પર મદદ મંગાઈ
મળતી માહિતી મુજબ, તેલંગાણાના 8 લોકોનો એક સમૂહ ઝરવાણી વિસ્તારમાં ફરવા આવ્યો હતો. જેમાંથી પાંચ લોકો ઝરવાણીના ગીચ જંગલમાં અજાણ્યા રસ્તા પર આગળ વધતાં મુખ્ય જૂથથી વિખૂટા પડી ગયા હતા અને રસ્તો ભૂલી ગયા હતા. ખોવાયેલા લોકોના પરિવારજનોએ તાત્કાલિક સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. તેમણે લોકેશન અને ફોટા સાથે પોસ્ટ મૂકીને ગુજરાત સરકાર અને પોલીસ સહિતના તંત્ર પાસે મદદની વિનંતી કરી હતી

ગણતરીના કલાકોમાં શોધખોળ કરાઈ
આ બાબતની ગંભીરતા જોતા, રાજ્યના ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા મેસેજનો જવાબ આપીને બનતી તમામ મદદની ખાતરી આપી હતી અને આ અંગે તાત્કાલિક ડીજીપી (DGP)ને જાણ કરવાની વાત કરી હતી. સૂચના મળતાની સાથે જ નર્મદા પોલીસ અને કેવડિયા વન વિભાગની ટીમ તરત જ સક્રિય થઈ હતી. ટીમે સંભવિત વિસ્તારોમાં સઘન શોધખોળ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં જ જંગલમાં ખોવાયેલા આ પાંચેય પ્રવાસીઓને સુરક્ષિત શોધી કાઢવામાં આવ્યા હતા. ખોવાયેલા પ્રવાસીઓના પરિવારે સહી-સલામત પુનઃમિલન બાદ રાજ્ય સરકાર, પોલીસ તંત્ર અને બચાવ ટીમનો દિલથી આભાર માન્યો હતો.

