VIDEO: 'નડિયાદમાં હોસ્પિટલ બહાર ભરાયા કેડસમા પાણી, 250 દર્દીઓ ફસાયા...', પછી જે થયું તે જોઈને તમે પણ સલામ કરશો!
ખેડા જિલ્લામાં સાર્વત્રિક અને ભારે વરસાદના કારણે નડિયાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીના નિકાલના અભાવે શહેરની સુપ્રસિદ્ધ 'સંતરામ નેત્ર ચિકિત્સાલય' ની બહાર પણ કેડસમા પાણી ભરાઈ જતાં ભારે હાલાકી સર્જાઈ હતી. આ પરિસ્થિતિને કારણે નેત્રયજ્ઞ અને આંખની સારવાર અર્થે બહારગામથી આવેલા 250થી વધુ દર્દીઓ તથા તેમના સગાસંબંધીઓ પાણીના ઘેરાવામાં ફસાયા હતા.
દર્દીઓની સેવા માટે હોસ્પિટલ તંત્ર બન્યું સક્રિય
હોસ્પિટલના પરિસરમાં અને બહારના માર્ગો પર ભારે પાણી ભરાઈ જવાના કારણે દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવું કે ત્યાંથી પરત ફરવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંતરામ નેત્ર ચિકિત્સાલય તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અને માનવતાવાદી અભિગમ દાખવીને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા દર્દીઓ અને તેમના સ્વજનોને કોઈ તકલીફ ન પડે તે માટે ટ્રેક્ટરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જળબંબાકાર વચ્ચે ફસાયેલા ૨૫૦થી વધુ દર્દીઓને ટ્રેક્ટરમાં બેસાડીને સુરક્ષિત રીતે નડિયાદ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સુધી પહોંચાડવાની સેવા પૂરી પાડવામાં આવી હતી.
આંખની સારવાર માટે દૂર-દૂરથી આવેલા વૃદ્ધો અને દર્દીઓએ તંત્રની આ તાત્કાલિક સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભારે વરસાદની આ મુશ્કેલ પરિસ્થિતિમાં હોસ્પિટલ તંત્રની આ કામગીરીની સ્થાનિકો અને દર્દીઓ દ્વારા ભારે સરાહના કરવામાં આવી રહી છે.

