VIDEO: Junagadh / મહિલા વ્યાજખોરની દાદાગીરી; ₹30 હજાર સામે 10% વ્યાજ વસૂલી યુવાનને આપી 'ટાંટિયા ભાંગી નાખવાની' ધમકી
જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મહિલા વ્યાજખોરે યુવાનને ઉંચા વ્યાજે નાણાં આપી ત્યારબાદ પઠાણી ઉઘરાણી કરી શારીરિક નુકસાન પહોંચાડવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
નંદનવન રોડ પર રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા 34 વર્ષીય અશરફ અનવર બ્લોચે ફેબ્રુઆરી 2024માં આર્થિક જરૂરિયાતને કારણે આરોપી મહિલા પાસેથી 10%ના વ્યાજે 30 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જોકે, મહિલાએ 30 હજારના ધિરાણ સામે કપાત કરી માત્ર 24 હજાર રૂપિયા જ અશરફને આપ્યા હતા.
ધિરાણ આપતી વખતે એવી શરત રાખવામાં આવી હતી કે અશરફે દર ગુરુવારે વ્યાજ પેટે 2,000 રૂપિયા ચૂકવવાના રહેશે. વ્યાજ ચૂકવવામાં થોડું મોડું થતા જ મહિલાએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. તેણે અશરફને પોતાની ઓફિસે બોલાવીને ધમકાવતા કહ્યું હતું કે, "મારા માણસો નીચે બેઠા છે, તારા ટાંટિયા ભાંગી નાખીશ અને તને જાનથી મારી નાખીશ."
પીડિત અશરફનો આરોપ છે કે જ્યારે તે ઓફિસે ગયો ત્યારે તેની પાસે પોતાની દવા ખરીદવા માટે રાખેલા 6,000 રૂપિયા પણ મહિલાએ બળજબરીથી પડાવી લીધા હતા. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાને અંતે હિંમત ભેગી કરી પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ મહિલા અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકી છે. શિવરાત્રી મેળા દરમિયાન થયેલા વિવાદ અને ખંડણીના કેસમાં પણ આ મહિલાનું નામ પોલીસ ચોપડે ચડી ચૂક્યું છે. હાલમાં જૂનાગઢ તાલુકા પોલીસે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ અને ધમકી આપવા બદલ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

