VIDEO: Gujarat Assembly: જૂનાગઢ-ભાવનગરમાં વર્ષોથી નગરસેવકો અને સરપંચોની જગ્યા ખાલી, સરકારના આંકડાથી ખળભળાટ
VIDEO: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને આરોગ્ય ક્ષેત્રે થયેલા ચુકવણા મુદ્દે મોટા ખુલાસા થયા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં ખાલી પડેલી જનપ્રતિનિધિઓની જગ્યાઓના આંકડા રજૂ કર્યા છે.
નગરસેવકો અને સરપંચોની અછત
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લામાં 4 સરપંચોની જગ્યાઓ વર્ષોથી ખાલી છે. આશ્ચર્યની વાત એ છે કે જૂનાગઢ તાલુકામાં 95 નગરસેવકો અને ભાવનગર જિલ્લામાં 212 નગરસેવકોની જગ્યાઓ ખાલી પડી છે. જનપ્રતિનિધિઓ મળતા ન હોવાને કારણે અથવા અન્ય ટેકનિકલ કારણોસર આ જગ્યાઓ ભરાઈ શકી નથી, જેના કારણે સ્થાનિક વિકાસના કામો પર અસર પડી રહી છે.
PMJAY યોજના અને પ્રાઇવેટ હોસ્પિટલો
બીજી તરફ, રાજ્યમાં PMJAY (આયુષ્માન કાર્ડ) યોજના હેઠળ ખાનગી હોસ્પિટલોને કરવામાં આવેલા ચુકવણા મુદ્દે પણ સરકારને ઘેરવામાં આવી હતી. સુરત અને રાજકોટ શહેરમાં માત્ર 2 વર્ષના ગાળામાં ખાનગી હોસ્પિટલોને રૂ. 1712 કરોડની માતબર રકમ ચૂકવવામાં આવી છે. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકારે સમગ્ર રાજ્યમાં પ્રાઇવેટ હોસ્પિટલોને અંદાજે 50 હજાર કરોડ રૂપિયા ચૂકવ્યા છે, જે સરકારી હોસ્પિટલોના બદલે ખાનગી સંસ્થાઓને ફાયદો કરાવવાની નીતિ દર્શાવે છે.

