Gujarat IAS Cadre: ગુજરાતમાં IAS અધિકારીઓનું સંખ્યાબળ વધ્યું, કેન્દ્ર સરકારે 313થી વધારીને 328 કરી બેઠકો

Gujarat IAS Cadre: કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માટે IAS (ભારતીય વહીવટી સેવા) કેડરની સંખ્યામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. નવા ફેરફાર મુજબ, ગુજરાત કેડરમાં હવે IAS અધિકારીઓની કુલ સંખ્યા 313 થી વધારીને 328 કરવામાં આવી છે. આ નિર્ણય વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા અને રાજ્યની વધતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે લેવામાં આવ્યો છે.
આ વધારા અંતર્ગત કુલ 15 નવી જગ્યાઓ ઉમેરવામાં આવી છે. જેમાં સીધી ભરતી (Direct Recruit) દ્વારા લેવામાં આવતા અધિકારીઓ અને રાજ્ય સેવાઓમાંથી બઢતી (Promotion) મેળવતા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ફેરફાર બાદ હવે રાજ્યમાં સિનિયર ડ્યુટી પોસ્ટ્સની સંખ્યા પણ વધીને 169 થઈ ગઈ છે, જે અગાઉ 161 હતી.
ઉલ્લેખનીય છે કે, કેડર રિવ્યુની આ પ્રક્રિયા વહીવટી માળખાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સમયાંતરે કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં વધી રહેલા શહેરીકરણ અને વિવિધ સરકારી પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે વધુ અનુભવી અધિકારીઓની જરૂરિયાત જણાતી હતી, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રના પર્સનલ અને ટ્રેનિંગ વિભાગ (DoPT) દ્વારા આ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.




