GSRTC Holi Special Bus: હોળી પર વતન જવું છે? ગુજરાત ST નિગમ દોડાવશે 1300 વધારાની બસ, જાણો તમારા શહેરના રૂટ

GSRTC Holi Special Bus: હોળી અને ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. વિવિધ શહેરોમાં રોજગારી અર્થે રહેતા લોકો પોતાના પરિવાર સાથે વતનમાં તહેવાર ઉજવી શકે તે માટે તેઓને મુસાફરીમાં કોઈ અગવડતા ન પડે તેને લઈને એસ.ટી. દ્વારા વધારાની 1300 બસ થકી 7500 ટ્રીપોનું સંચાલન કરાશે.
હોળી-ધૂળેટીના તહેવારો વધારાની બસો દોડાવાશે
હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટાઉદેપુર તરફ જનારા મુસાફરો માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.
દ્વારકા-ડાકોર જતા દર્શનાર્થીઓ માટે વધારાની 450 બસ ફાળવાઈ
હોળીના તહેવારમાં ડાકોરમાં ફૂલડોલોત્સવ તથા દ્વારકામાં પણ લાખો ભાવિભક્તો દર્શાનાર્થે જતા હોય છે, ત્યારે ભક્તોને પરિવહનમાં કોઈપણ અગવડ ન પડે તે હેતુથી દ્વારકા અને ડાકોર જનારા દર્શનાર્થીઓ માટે 450 બસ દ્વારા 3500 ટ્રીપો ફાળવવામાં આવી છે.
એડવાન્સ બુકિંગની સુવિધા
ઉલ્લેખનીય છે કે, આ વિશેષ સેવાઓ 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 દરમિયાન કાર્યરત રહેશે. મુસાફરોની સુવિધા અને ભીડને ટાળવા માટે એસ.ટી. નિગમ દ્વારા ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરો નિગમની વેબસાઈટ gsrtc.in અથવા GSRTC મોબાઈલ એપ્લિકેશન દ્વારા એડવાન્સ બુકિંગ કરાવી શકે છે.
આ સમગ્ર સંચાલન સંબંધિત કોઈપણ પૂછપરછ માટે મુસાફરો નિગમના ટોલ ફ્રી નંબર 1800233666666 પર 24 કલાક સંપર્ક કરી શકે છે. દરેક ડેપો ખાતેથી પણ આ વધારાની સર્વિસોની માહિતી અને ટિકિટ ઉપલબ્ધ રહેશે.

